જિલ્લાના લાલપુર તાલુકાના મોડાખડબા, વાવડી, નાના ખડબા, બાઘલા, સાજડીયાળી, ચોરબેડી, રીંઝપર, મોટાભરૂડીયા, નાંદુરી અને ગોદાવરી ગામોમાં “માં નર્મદા” રથનું આગમન થતા ત્યાંના સ્થાનિકો દ્વારા ઉત્સાહ પુર્વક સ્વાગત કરવામાં આવેલ હતું. આ વિસ્તારમાં “મા નર્મદા” રથને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે કૃષિ અને ઉર્જા વિભાગના મંત્રીશ્રી ચિમનભાઇ શાપરિયા પણ આ રથની સાથે જોડાયા હતા.
નર્મદા ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન છે તેમ જણાવી કૃષિ અને ઉર્જા વિભાગના મંત્રીશ્રી ચિમનભાઇ શાપરિયાએ ઉમેર્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલે ગુજરાતની કાયાપલટ માટે નર્મદા નદી ઉપર ડેમ બાંધવાનું નક્કિ કરી તે દિશામાં કામ કર્યું. આ ડેમનું ખાતમુહૂર્ત ઇ.સ. ૧૯૬૧માં કરવામાં આવેલ હતું. પરંતુ આ યોજના પુર્ણ કરવામાં ખુબ જ વિલંભ થયો છે જેને કારણે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જનતાને ખુબ જ અન્યાય થયો છે. ગુજરાતમાં ઇ.સ. ૧૯૯૫માં રાજકીય પરિવર્તન થયું અને આ યોજનાને કાર્યવંત કરવાની દિશામાં કામ શરૂ થયું. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની કમાન સંભાળતાની સાથે મા નર્મદાનું પાણી ગામડે-ગામડે પહોંચાડવાનો નિર્ધાર કરી આ દિશામાં ખુબ જ ઝડપી નિર્ણયો લીધા છે.