ઉત્તરપ્રદેશમાં ગોરખપુર સ્થિત બીઆરડી હોસ્પિટલમાં નજાત શિશુના મોટી સંખ્યામાં મોત થયા બાદ હવે ફરૂખાબાદ સ્થિત ડો. રામ મનોહર લોહિયા રાજકીય હોસ્પિટલમાં ૪૯ બાળકોના મોતનો મામલો સપાટી પર આવ્યા બાદ સનસનાટી મચી ગઇ છે. તપાસ રિપોર્ટ સપાટી પર આવ્યા બાદ સરકાર હચમચી ઉઠી છે. બીઆરડી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોના મોત બાદ ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલી યોગી સરકારની ઉંઘ હરામ થઇ ગઇ છે. તપાસ રિપોર્ટમાં ચોંકાવનારી કબુલાત કરવામાં આવી છે કે આ બાળકોના મોત પણ ઓક્સિજનની કમી અને દવા પુરતા પ્રમાણમાં ન મળવાના કારણે થયા છે. ફરૂકાબાદના એસપી દયાનંદ મિશ્રાએ માહિતી આપતા કહ્યુ છે કે આ મામલામાં સીએમઓ, સીએમએસ અને લોહિયા હોસ્પિટલના કેટલાક તબીબોની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ વધારે આગળ વધ્યા બાદ સંબંધિતોની સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. બીઆરડી મેડિકલ કોલેજ હોસ્પિટલથી પ્રાપ્ત અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે આ વર્ષે જાન્યુઆરીમાં ૧૫૨ બાળકોના મોત થયા હતા. બીઆરડી હોસ્પિટલમાં માત્ર સપ્ટેમ્બરના પ્રથમ બે દિવસમાં ૩૨ મોત થયા છે. હજુ સુધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ૧૩૧૭ના મોત થઇ ચુક્યા છે. યોગી સરકારે સમગ્ર મામલે ફરી તપાસ હાથ ધરી છે. કેટલીક નક્કર વિગત સપાટી પર આવી શકે છે. યોગી સરકારની વિરોધ પક્ષો ટિકા કરી રહ્યા છે. આ વર્ષે ગોરખપુરમાં બાબા રાઘવદાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના લીધે મોટી સંખ્યામાં બાળકોના મોત થયા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ