નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ રાજીવકુમારે શુક્રવારે કાર્યભાર સંભાળી લીધો. વિશ્વના પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓમાં સામેલ રાજીવકુમારે ઔદ્યોગિક સંગઠન ફિક્કી, સીઆઈઆઈથી લઈને એશિયન ડેવલપમેન્ટ બેન્ક સુધીની સંસ્થાઓમાં કામ કર્યું છે. ભારતીય અર્થવ્યવસ્થા અને સલામતી પર અનેક પુસ્તક લખી ચૂક્યાં છે. તેમણે લખનઉ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. અને ઑક્સફર્ડમાંથી ડીફિલ કર્યું છે.નીતિ આયોગની જવાબદારી મળવી કોઈ પણ અર્થશાસ્ત્રીનું સપનું હોય છે. હું ૧૯૭૫માં પીએચ.ડી. દરમિયાન અહીંની લાઈબ્રેરીમાં રિસર્ચ માટે આવતો હતો. ત્યારે વિચાર્યું પણ નહોતું કે અહીં સુધીનો પ્રવાસ પૂરો કરીશ. વડાપ્રધાન મોદીએ જે ધ્યેય સાથે તેનું નામ નીતિ આયોગ રાખ્યું છે તે પરિવર્તન માટે પૂરી મહેનત કરીશ. પંચ બધાનો અવાજ બને તે જરૂરી છે. તેના માટે બધાં રાજ્યોનાં જૂથ બનાવીશું. જેમ કે, પર્વતીય રાજ્ય, પૂર્વોત્તર રાજ્ય. રાજ્યોનાં જૂથ બનાવી તેમની સમાન અને વિશેષ જરૂરિયાતો મુજબ પગલાં ઉઠાવાશે. સૌથી મહત્વપૂર્ણ છે ખેડૂતોની આવક બમણી કરવી.હું પંચના દરેક કર્મચારીને મળીશ અને તેમના મતનો પણ આગામી પગલાંઓમાં સમાવેશ કરીશ. જીડીપી ગ્રોથ રેટ ૫.૭ ટકા રહેવા પર કહેવાય છે કે તેનું કારણ નોટબંધી છે પરંતુ તે સાચું નથી. તેનાં અનેક કારણ છે જેમ કે જથ્થાબંધ ભાવાંક ઈન્ડેક્સનું વધવું, જીએસટી પહેલાં કંપનીઓ દ્વારા ડિસ્કાઉન્ટ પર માલ વેચવો.
ડિમોનેટાઈઝેશનની અસર નવેમ્બરથી જાન્યુઆરી સુધી તો હતી, પરંતુ એપ્રિલથી પહેલા તેની અસર ખતમ થઈ ગઈ. બેન્કોમાં ૯૯ ટકા નોટ પાછી આવવા અંગે મારો મત છે કે ડિમોનેટાઈઝેશન નહીં, પરંતુ નાણાંનું રિ-મોનેટાઈઝેશન છે. સ્વચ્છ રૂપિયાને સ્વીકારવામાં આવ્યા. કાળાંનાણાંની ઓળખ કરીને તેને સિસ્ટમમાં લાવવાનો પ્રયાસ કરાયો. હવે તેનો ઉપયોગ વિકાસના કામોમાં થશે. પ્રક્રિયાનો અસલ ઉદ્દેશ પણ હતો.દેશમાં રોકાણનું વાતાવરણ સારું થયું છે.
આગામી ત્રિમાસિક સમયમાં વિકાસ દર ૭ ટકાથી ૭.૫ ટકા સુધી રહેશે. કંપનીઓ તરફથી નવા આઈપીઓ આવી રહ્યા છે. જણાવે છે કે દેશમાં રોકાણનું વાતાવરણ વધુ સારું થયું છે. વિશ્વાસ વધ્યો છે. એફઆઈઆઈ અને એફડીઆઈ પણ સારા રહ્યા છે. રોજગાર નિશ્ચિતરૂપે મહત્વપૂર્ણ મુદ્દો છે. અનેક પરંપરાગત ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં નોકરીઓ ઉપલબ્ધ કરાવાઈ શકે છે.