હરિયાણાના સિરસામાં ૧૨ કલાક માટે સંચારબંધીમાં રાહત આપવામાં આવી છે. સ્કૂલ અને કોલેજો ફરીવાર ખુલી ગયા છે. બળાત્કારના કેસમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામ રહીમને દોષિત ઠેરવીને જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. બાબાને અપરાધી ઠેરવવામાં આવ્યા બાદ સિરસા, પંચકુલામાં વ્યાપક હિંસા થઇ હતી. હરિયાણા, પંજાબ, રાજસ્થાન, દિલ્હીમાં હિંસા ભડકી ઉઠી હતી જેમાં ૩૦થી વધુ લોકોના મોત થઇ ગયા હતા અને ૩૦૦ લોકો ઘાયલ થયા હતા. તમામ હિંસાગ્રસ્ત વિસ્તારમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા હજુ પણ રાખવામાં આવી છે. જો કે, સત્તાવાળાઓ હવે રાહત આપી રહ્યા છે. સત્તાવાળાઓએ આજે સિરસામાં સવારે ૭થી સાંજે ૭ વાગ્યા સુધી કરફ્યુમાં છુટછાટો આપી હતી. બાબાને જેલની સજા કરવામાં આવ્યા બાદ કોઇ હિંસા ન થતાં આ રાહત આપવામાં આવી છે. આ વિસ્તારમાં રવિવાર બાદથી બીજી વખત સંચારબંધી હળવી કરવામાં આવી છે. સિરસા ડેરા સચ્ચાના હેડક્વાર્ટર તરીકે છે જ્યાં રામ રહીમને અપરાધી ઠેરવવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં ડેરાના સમર્થકો એકત્રિત થઇ ગયા હતા. કર્ફ્યુમાં છુટછાટ દરમિયાન મોટી સંખ્યામાં વસ્તુઓ જરૂરી પ્રમાણમાં ખરીદવામાં આવી હતી. બીજી બાજુ હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા ૩૦મી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હરિયાણામાં જે સાત જિલ્લામાં ૩૦મી ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ સેવા અને એસએમએસ સેવા તથા ડોન્ગલ સેવા સ્થગિત રહેશે તેમાં અંબાલા, કુરુક્ષેત્ર, કેથલ, જિંદ, હિસાર, ફતેહાબાદ, સિરસાનો સમાવેશથાય છે. હરિયાણા સરકારે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ગુરમિત રામ રહીમને સજા કરવામાં આવ્યા બાદ સરકાર હાલમાં કોઇ ખતરો લેવા ઇચ્છુક નથી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી.