જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા તા.૨૪/૦૮/૨૦૧૭ના રોજ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં ‘‘નયા ભારત મંથન-સંકલ્પ સે સિધ્ધિ’’ કાર્યક્રમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓ માટે યોજાયો.
વર્ષ ૧૯૪૨માં આરંભાયેલ ‘‘ભારત છોડો’’ આંદોલનને ૭૫ વર્ષ પુર્ણ થઇ રહેલ છે તથા વર્ષ ૨૦૨૨માં ભારતની આઝાદીને ૭૫ વર્ષ થનાર છે. જેના અનુસંધાને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘‘ભારત જોડો’’ અને ‘‘સંકલ્પ સે સિધ્ધિ તક’’ સામાજીક આંદોલન ચલાવવાનું નકકી કરેલ છે. જેમાં દેશના નાગરિકો ઉત્સાહભેર જોડાય રહયા છે અને વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશમાંથી ગરીબી, ભ્રષ્ટાચાર, આંતકવાદ, સંપ્રદાયવાદ, જાતિવાદ દૂર થાય અને દેશ સ્વચ્છ બને તે માટે સંકલ્પબધ્ધ બની રહેલ છે.
આ અંતર્ગત ‘ભારત મંથન’ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ભાવનગર ખાતે જિલ્લા પંચાયત દ્વારા ત્રિસ્તરીય પંચાયતમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે ‘‘નયા ભારત મંથન-સંકલ્પ સે સિધ્ધિ’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા બોલતા જણાવેલ હતુ કે, ‘‘નવુ ભારત’’ એ સવાસો કરોડ દેશવાસીઓનું સ્વપ્ન છે, આ સામાજીક આંદોલન થકી દેશ નવી ઉંચાઇઓ પર પહોંચશે. દેશ જયારે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરશે ત્યારે ગરીબી, ગંદકી, આતંકવાદ, ભ્રષ્ટાચાર, જાતિવાદ, સંપ્રદાયવાદ વિગેરેથી પણ આઝાદ થયેલો હશે.
આ કાર્યક્રમમાં રાજય સરકારના મંત્રીશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના પદાધિકારીશ્રીઓ વિગેરે બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.