આસામમાં ફરી એકવાર પુરની સ્થિતિ ગંભીર બની ગઇ છે. ૩૩ જિલ્લાઓ પૈકી ૨૧ જિલ્લાઓમાં પુરની સ્થિતિ પ્રવર્તી રહી છે. બચાવ અને રાહત કામગીરી માટે ફરી એકવાર સેનાને બોલાવી લેવામાં આવી છે. રાજ્યમાં પુરના બીજા મોજાના લીધે પણ તંત્ર અસ્તવ્યસ્ત થઇ ગયું છે. પ્રથમ રાઉન્ડમાં ૮૫ લોકોના મોત થયા હતા અને ૧૯ લાખને અસર થઇ હતી. એપ્રિલથી જુલાઈ વચ્ચેના ગાળામાં આ ૮૫ મોત થયા હતા. હવે બીજા દોરમાં વધુ ૧૪ લોકોના મોત થયા છે. એરફોર્સને પણ બચાવ કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે. આઈએએફને સ્ટેન્ડ બાય ઉપર રખાય છે. આસામમાં નવેસરના પુરના કારણે ૨૧ જિલ્લામાં આશરે ૩.૫૫ લાખ લોકોને માઠી અસર થઇ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ ઉત્તર પૂર્વીય રાજ્યના ૨૧ જિલ્લાઓના ૭૮૧થી વધુ ગામમાં સાડા ત્રણ લાખથી વધુ લોકોને અસર થઇ છે. બ્રહ્મપુત્ર નદીના ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નવેસરથી પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. ૨૦ હજાર હેક્ટર પાક ભૂમિ પુરના પાણીમાં આવી ગઈ છે. હાલમાં ૩૯ રાહત કેમ્પોમાં ૧૪૦૦૦ જેટલા લોકોને રાખવામાં આવ્યા છે. છેલ્લા મહિના બાદથી નવેસરના પુરના કારણે હેમાજી, લખીમપુર અને બારપેટા સહિતના ૧૫ જિલ્લા અસરગ્રસ્ત થયેલા છે. કોકરાઝાર, જોરહાટ, શિવસાગર, ડિબ્રુગઢમાં પણ પુરની સ્થિતિ સર્જાયેલી છે. વડાપ્રધાને આસામમાં રાહત બચાવ કાર્ય માટે વધારાના ૨૫૦ કરોડની જાહેરાત કરી હતી. ગયા મહિને મોદી ૩૦૦ કરોડની મદદની જાહેરાત કરી ચુક્યા છે. મોદીએ હાલમાં પુરમાં મૃત્યુ પામેલા લોકો માટે બે-બે લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. વડાપ્રધાને અહીં પુર પ્રભાવિત વિસ્તારોનું પહેલી ઓગસ્ટના દિવસે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આસામમાં પુરના બે દોરમાં ૨૫ લાખ લોકોને અસર થઇ છે. ૨૯ જિલ્લાઓમાં આની અસર જોવા મળી છે. ૧૦૯૮ રાહત કેમ્પ સ્થાપિત કરાયા છે. દરમિયાન નેપાળમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે બિહારમાં કોશી પટ્ટામાં પુરનું સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્ય વહીવટીતંત્ર દ્વારા એલર્ટની જાહેરાત કરાઈ છે. કારણ કે કોશી નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. નેપાળમાં ભારે વરસાદના લીધે ૩૬થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. આસામ ઉપરાંત ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ બાદ પુરની સ્થિતિ છે. પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ અલીપુર દ્વાર જિલ્લાના હાસીમારામાં ૪૦૦ મીમી નોંધાયો છે. પાંચ જિલ્લાઓમાં અસર થઇ છે. આશરે ૧૦૦ ચા બગીચા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. આસામ ઉપરાંત ત્રિપુરામાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું કહેવું છે કે, રાહત સામગ્રી મોકલવા સહિતના તમામ પગલા લેવાઈ રહ્યા છે. કુચબિહાર, ઉત્તરીય દિનાઝપુર, જલપાઈગુડી અને દાર્જીલિંગનો સમાવેશ થાય છે. આસામમાં પુરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે જુદી જુદી રાહત છાવણી ઉભી કરવામાં આવી છે. હજારો લોકોને રાહત છાવણીમાં મુકી દેવામાં આવ્યા છે. પટણાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના અનેક સ્થાનો પર મધ્યમથી ભારે વરસાદ થયો છે. પુરણિયા જિલ્લામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે.
આગળની પોસ્ટ