Aapnu Gujarat
ગુજરાત

ઔડા કરશે જમીનની હરાજી, પ્લોટ્સ વેચીને એકત્ર કરશે 2400 કરોડ રૂપિયા

હાલમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં જમીનોના ભાવમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેનો ફાયદો ઔડા એટલે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને પણ થવાનો છે. આગામી વર્ષે એટલે કે 2024માં ઔડા પર નાણાનો વરસાદ થવાનો છે. આગામી વર્ષે ઔડા દ્વારા 19 પ્લોટની હરાજી કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ 19 પ્લોટની હરાજીમાંથી ઔડા 1600 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. જ્યારે અન્ય 11 પ્લોટની હરાજીમાંથી 800 કરોડ એકઠા કરવાની યોજના છે. આમ ઔડા દ્વારા પ્લોટ્સની હરાજીમાંથી કુલ 2400 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. આ હરાજીમાંથી મળનારી રકમનો ઉપયોગ સામાજિક માળખાકીય વિકાસ માટે કરવામાં આવશે. આગામી ત્રણથી ચાર મહિનામાં શહેરના પશ્ચિમ અને પૂર્વ ભાગમાં પ્રાઇમ પ્લોટ્સની હરાજી કરવામાં આવશે.

ઔડા દ્વારા આ પ્લોટની હરાજીની યોજના તૈયાર કરી દીધી છે. તાજેતરમાં જ મળેલી બેઠકમાં ઔડા દ્વારા ઔડા અને એએમસી બંને વિસ્તારોમાં આઠ પ્લોટના વેચાણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. એક અંદાજ પ્રમાણે હાલમાં 600 કરોડ રૂપિયાની કિંમતના આ પ્લોટ્સ પશ્ચિમ અને પૂર્વ અમદાવાદના મુખ્ય સ્થળોએ આવેલા છે. આ પ્લોટનો વિસ્તાર 1430 ચોરસ મીટરથી લઈને 7,780 ચોરસ મીટર સુધીનો છે. આ પ્લોટ્સની કિંમત પણ તેના લોકેશનના આધારે નક્કી કરવામાં આવી છે. આ પ્લોટની કિંમત 35,672 રૂપિયા પ્રતિ ચોરસ મીટરથી લઈને 2.60 લાખ પ્રતિ ચોરસ મીટર સુધીની છે. પ્લોટના વિસ્તાર અને કિંમતના આંકડાઓને ધ્યાનમાં રાખવામાં આવે તો એક પ્લોટની કિંમત લગભગ 202 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
ઔડા દ્વારા જે પ્લોટ્સની હરાજી કરવાની યોજના છે તેમાંથી 11 પ્લોટ એવા છે જે ઔડાને અંદાજીત 800 કરોડ રૂપિયા એકત્ર કરી આપશે. જેમાં વેજલપુર વિસ્તારમાં એક પ્લોટની મૂળ કિંમત 2.84 લાખ રૂપિયા નોંધવામાં આવી છે. 9529 ચોરસ મીટરના પ્લોટનો ઉપયોગ કોમર્શિયલ ડેવલોપમેન્ટ માટે કરવામાં આવશે. આ જ વિસ્તારમાં 3169 ચોરસ મીટરના અન્ય પ્લોટની કિંમત 2.72 લાખ રૂપિયા નોંધવામાં આવી છે. હરાજી થનારા આ 11 પ્લોટમાં બે વેજલપુરમાં છે જ્યારે અન્ય ત્રણ પ્લોટ ચાંદખેડામાં અને છ બોપલમાં છે. કુલ 11 પ્લોટમાંથી ચાર રહેણાંક હેતુ માટે છે જ્યારે સાત કોમર્શિયલ હેતુ માટે છે.

AUDAના CEO દેવાંગ દેસાઈએ આગામી બે મોટા પ્રોજેક્ટ્સ અંગે વાતચીત કરી હતી. જેમાં 200-ફૂટ SP રિંગ રોડ પર 10 ફ્લાયઓવર અને શેલા, ગોધાવી અને મણિપુર જેવા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનોનું નાંખવામાં આવશે. આ પ્રોજેક્ટ તથા અન્ય માળખાકીય સુવિધાઓ માટે 1,200 કરોડ રૂપિયાથી વધુનું બજેટ જરૂરી છે, એમ દેસાઈએ જણાવ્યું હતું.

અમદાવાદમાં હાલમાં રિયલ એસ્ટેટના ભાવ આકાશને આંબી રહ્યા છે. તાજેતરમાં એવા કેટલાક સોદા થયા છે જેના કારણે અમદાવાદના રિયલ એસ્ટેટમાં ભારે ચર્ચા જાગી હતી. દિવાળી પહેલા જ અમદાવાદમાં આંબલી-બોપલ રોડ પર આવેલી એક સોસાયટીનો સોદો 300 કરોડ રૂપિયામાં થયો હોવાના અહેવાલ હતા. ત્યારબાદ અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન ક્રોસ રોડથી ફક્ત 700 મીટર દૂર રહેલા 4,500 સ્ક્વેર યાર્ડના એક પ્લોટનો સોદો પણ રેકોર્ડ કિંમતે થયો હતો. આ પ્લોટની કિંમત 3.4 લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર યાર્ડ મુજબ સોદો થયો હતો. એટલે કે 4,500 સ્ક્વેર યાર્ડનો સોદો 153 કરોડ રૂપિયાની જંગી કિંમતે થયો હતો. જેને રિયલ્ટી નિષ્ણાતો ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોંઘો જમીન સોદો ગણાવી રહ્યા છે.

Related posts

નોટબંધીના લીધે આવાસોની કિંમત ઘટી : મોદી

aapnugujarat

કાંકરેજના ખારીયા ગામમાં ખારેશ્વર મહાદેવના મંદિરમાં હવન – યજ્ઞ યોજાયો

aapnugujarat

૨૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકામાં મતદાન

editor
UA-96247877-1