સ્માર્ટફોન અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તથા સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ વધતી જાય છે. સાયબર ક્રાઈમને ડામવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ સાયબર ગઠિયાઓ દિવસેને દિવસે વધારે હાઈટેક બનતા જઈ રહ્યા છે. જેના કારણે ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ડામવા માટે નવા-નવા પગલા લેવામાં આવી રહ્યા છે. હવે એક નવી યુક્તિ અજમાવવામાં આવી રહી છે. જેમાં સાયબર ગઠિયાઓના સિમકાર્ડ નહીં પરંતુ તેમના મોબાઈલ ફોનને જ બ્લોક કરી દેવામાં આવે છે. તેમના IMEI નંબરને બ્લોક કરવામાં આવે છે જેના કારણે તેમના ફોનના મુખ્યકાર્ય એવા સંદેશાવ્યવહારને જ બંધ થઈ જાય છે. એટલે કે તેમના ફોનથી કોઈ જ કોમ્યુનિકેશન થઈ શકતું નથી.
LSA અને DoT ગુજરાતના એડિશનલ ડીજી અજાતશત્રુ સોમાણીએ આ અંગે સમજાવ્યું હતું કે, વ્યક્તિગત સિમ કાર્ડને બદલે IMEI નંબરને બ્લોક કરીને તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે ગુનેગારોને ફક્ત તેમના સિમકાર્ડને નહીં પરંતુ ફોન પણ બદલવા પડે છે. એટલે કે તેમને નવા ફોન ખરીદવા પડે છે. જે તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ખર્ચમાં વધારો કરે છે. આ પ્રક્રિયામાં તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર (TSPs)ને ઉલ્લેખિત IMEI નંબરને બ્લોક કરવા માટે સૂચના આપવાનો સમાવેશ થાય છે, જે ફોનને કોમ્યુનિકેશન માટે વર્ચ્યુઅલ રીતે નકામું બનાવે છે. ટૂંકમાં કહીએ તો એક અત્યાધુનિક સંદેશાવ્યવહારનું ડિવાઈસ એવો સ્માર્ટફોન ફક્ત બેઝિક કેલ્ક્યુલેટર કરતાં વધુ કંઈ રહેતો નથી.