રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે ભારત સહિત આખી દુનિયાના અર્થતંત્રને ફટકો પડ્યો હતો. તેમાં હવે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો પણ ઉમેરો થયો છે. ઈઝરાયલે હમાસને ખતમ કરવા માટે આખા ગાઝામાં સાફસૂફી કરવાનો નિર્ધાર કર્યો છે. તેના પરથી એટલું સ્પષ્ટ છે કે આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે. આ યુદ્ધ પણ ભારતીય અર્થતંત્રના અલગ અલગ સેક્ટરને અસર કરી શકે છે.
હાલમાં ઈઝરાયલમાં લગભગ 20,000 ભારતીયો રહે છે, પરંતુ સદનસીબે કોઈના મૃત્યુના અહેવાલ નથી. ભારતે ઓપરેશન અજય શરૂ કર્યું છે જેથી જે લોકો ઈઝરાયલ છોડીને સ્વદેશ પરત આવવા માગે છે તેઓ ભારત આવી શકશે. પરંતુ આ યુદ્ધની અસર અર્થતંત્ર પર પણ પડવાની છે. ખાસ કરીને આ વોર જો બે અઠવાડિયા કરતા વધારે ચાલે તો તેનાથી ઘણા ઉદ્યોગોને ફટકો પડી શકે છે.
ઈઝરાયલ – હમાસ યુદ્ધના કારણે ભારતમાં ડાયમંડ અને ફાર્મા ઉદ્યોગને અસર થવાની શક્યતા છે. જેમ્સ એન્ડ જ્વેલરીમાં સુરત ઉપરાંત ઈઝરાયલ પણ ઘણું આગળ છે. ડાયમંડના કટિંગ અને પોલિશિંગનું કામ કરતી ભારતીય કંપનીઓનું કહેવું છે કે આ યુદ્ધ વધુ ચાલશે તો તેનાથી તેમના નફાના માર્જિન પર અસર થશે. રશિયા – યુક્રેન યુદ્ધના કારણે પહેલેથી ડાયમંડની ગ્લોબલ ડિમાન્ડ ઘટી ગઈ છે.
ઈઝરાયલ-હમાસ યુદ્ધના કારણે ભારતીય ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીને પણ અસર થઈ શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે આ યુદ્ધ બે અઠવાડિયાથી વધારે ચાલશે તો મિડલ-ઈસ્ટમાં ભારતની નિકાસ ઘટી શકે છે. ભારતીય ફાર્મા ઉત્પાદનોના આયતકાર દેશોમાં યુએઈ, કતાર, સાઉદી અરેબિયા, ઈજિપ્ત અને બહેરિનનો સમાવેશ થાય છે. આ દેશો દર વર્ષે ભારત પાસેથી અબજો ડોલરની દવાઓ ખરીદે છે. તેથી ફાર્મા એક્સપોર્ટને લઈને પણ ચિંતા છે. આ યુદ્ધના કારણે હોમ ટેક્સ્ટાઈલની નિકાસ પણ ઘટી શકે છે.
આ ઉપરાંત દરેક યુદ્ધમાં ઓઈલના ભાવ વધે છે તેવું આ વખતે પણ જોવા મળશે. ગયા શુક્રવારે ઓઈલના ભાવમાં 6 ટકાનો ઉછાળો આવ્યો હતો. ભારતમાં ચૂંટણી આવી રહી હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલમાં વધારો ટાળવામાં આવશે.