Aapnu Gujarat
બિઝનેસ

ક્રેડિટ કાર્ડમાં બાકી નીકળતી રકમ કરતા વધુ જમા નહીં કરાવી શકાય

ક્રેડિટ કાર્ડના મામલે બેન્કોના નિયમો ઘણી વખત બદલાતા રહે છે અને ગ્રાહકોને તેની જાણકારી પણ નથી હોતી. તાજેતરમાં જાણવા મળ્યું છે કે કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડની બાકી નીકળતી રકમ કરતા વધારે રકમ ચુકવવા જાય તો તેઓ આમ કરી શકતા નથી. તમારી જે રકમ ડ્યૂ હોય તેના કરતા વધુ પેમેન્ટ કરવું હોય તે બેન્કો ગ્રાહકને આમ કરતા અટકાવે છે અથવા તો વધારાની રકમ રિફંડ કરી દે છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી મની લોન્ડરિંગ અને ફ્રોડથી બચી શકાય. મોટા ભાગના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ દર મહિને તેમની પૂરેપૂરી આઉટસ્ટેન્ડિંગ રકમ ચુકવે છે અથવા તેનાથી ઓછી રકમ ચુકવે છે. કેટલાક લોકો વધારે રકમ પેમેન્ટ કરતા હોય છે જેથી ટ્રાવેલિંગ વખતે અથવા મોંઘી વસ્તુની ખરીદી કરતી વખતે તેમના કાર્ડની લિમિટ પૂરી ન થઈ જાય. મોટા ભાગની બેન્કોએ તેમના એપમાં એવી વ્યવસ્થા કરી છે જેથી ગ્રાહકો એપ દ્વારા ઓવર પેમેન્ટ કરી ન શકે. જોકે, બીજી બેન્કો દ્વારા નાણા ટ્રાન્સફર કરવામાં આવે તો ઓવર પેમેન્ટ થઈ શકે છે. આવા સંજોગોમાં કાર્ડ ઈશ્યૂ કરનાર બેન્ક એક અઠવાડિયાની અંદર સરપ્લસ રકમ રિફંડ કરી દે છે. એચડીએફસી બેન્ક, એસબીઆઈ કાર્ડ, એક્સિસ બેન્કના ગ્રાહકો જ્યારે એપ દ્વારા પેમેન્ટ કરે ત્યારે બાકી નીકળતી રકમ કરતા વધારે પેમેન્ટ કરી શકાતું નથી. જ્યારે આઈસીઆઈસીઆઈ બેન્કના કેટલાક ગ્રાહકોએ જણાવ્યું કે તેઓ મોટી રકમને પણ ટ્રાન્સફર કરી શકે છે. એક બેન્ક અધિકારીએ જણાવ્યું કે ક્રેડિટ કાર્ડ એ રૂપિયા ઉછીના આપવા માટેની પ્રોડક્ટ છે, કોઈ સેવિંગ્સ એકાઉન્ટ નથી. તેના કારણે ગ્રાહકો તેમાં વધારાનું ફંડ રાખી શકતા નથી. એક બેન્કના પ્રવક્તાએ જણાવ્યું કે બેન્કોને સૂચના આપવામાં આવી છે કે ક્રેડિટ કાર્ડમાં વધારાની ક્રેડિટ રાખવામાં ન આવે કારણ કે તેમાં મની લોન્ડરિંગ વિરોધી કાયદાનો ભંગ થતો હોઈ શકે છે. આ ઉપરાંત તાજેતરમાં એવી ગાઈડલાઈન આવી છે જે મુજબ બેન્કોએ ચોક્કસ સમયગાળામાં વધારાની ક્રેડિટ બેલેન્સ રિફંડ કરવાની હોય છે. ક્રેડિટ કાર્ડ એ કોઈ પ્રિપેઈડ કાર્ડ નથી કે તેને પહેલેથી લોડ કરીને ઉપયોગ કરી શકાય. આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન વખતે નાણાંની હેરાફેરીમાં ગોટાળા ન થાય તે માટે પણ ક્રેડિટ કાર્ડમાં રૂપિયા રાખવાની ના પાડવામાં આવે છે. ઘણી વખત હેક કરાયેલા એકાઉન્ટમાંથી પણ નાણાંને ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જોકે, ક્રેડિટ કાર્ડ વિશે બેન્કોના આવા નિયમોના કારણે ગ્રાહકોને અસર થાય છે. જે ગ્રાહકોને ગમે ત્યારે મોટો ખર્ચ આવવાનો હોય અને તેઓ તેની પૂર્વતૈયારી રૂપે ક્રેડિટ કાર્ડમાં વધારાની રકમ રાખવા માગતા હોય તેઓ આવું કરી શકતા નથી.

Related posts

સતત ત્રીજા વર્ષે જેફ બેજોસ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા : ફોર્બ્સ

editor

દાર્જિલિંગમાં આંદોલન વકરતાં ત્રણ હજાર ગુજરાતીઓએ ટુરમાં જવાનુ માંડી વાળ્યું

aapnugujarat

કોરોના કાળમાં પણ ભારતીયોની સંપત્તિમાં ૧૧ ટકાનો વધારો થયો

editor
UA-96247877-1