અમરનાથ યાત્રામાં જંક અને બિનઆરોગ્યપ્રદ ખોરાક પર પ્રતિબંધ રહેશે. જેના પર કડક પગલાં લેતા શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)એ રવિવારે કહ્યું કે યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓને હલવા પુરી, સમોસા, જલેબી, ગુલાબ જાંબુ વગેરે જેવી ખાદ્ય ચીજો પીરસવામાં આવશે નહીં. આ વર્ષે 62 દિવસની અમરનાથ યાત્રા તારીખ 1 જુલાઈથી શરૂ થશે. SASBના અધિકારીઓએ જણાવ્યું હતું કે પહેલગામ અને બાલટાલ માર્ગો પર યાત્રાળુઓ માટે આ વર્ષે 120થી વધુ લંગર (સામુદાયિક રસોડા)ની સ્થાપના કરવામાં આવી રહી છે.
એક અધિકારીએ જણાવ્યું કે તીર્થયાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને SASBએ લંગરોમાં પ્રતિબંધિત ખોરાક અને ખાદ્ય પદાર્થોની સૂચિ જાહેર કરી છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે લગભગ 120 લંગરોને જંક અને તળેલું ભોજન પીરસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લંગરના અધિકારીઓ સાથે પ્રતિબંધિત અને પરવાનગીવાળી વસ્તુઓની સૂચિ પણ શેર કરવામાં આવી છે.