ભારે અનિશ્ચિતતાઓ અને આશંકાઓની વચ્ચે આખરે શક્તિશાળી ચક્રવાત બિપોરજોય ટકરાવવા જઈ રહ્યું છે. આજે સાંજે 4થી 8 વાગ્યાની વચ્ચે કચ્છના જખૌ અને પાકિસ્તાનના કરાચીના વચ્ચેના ભાગમાં 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાશે, તેની ગતિ વધીને 150 કિમી સુધી પણ પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૂસવાટાભેર પવનની સાથે બિપોરજોય દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર તેમજ મોરબી જિલ્લાામાં ભારે તબાહી મચાવશે તેવી શક્યતા છે. આ સિવાય સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડશે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના રિજનલ ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ ખાતે ટકરાશે અને આસપાસના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે.
હાલ ચક્રવાત બિપોરજોય કચ્છથી 240થી 260 કિમીની ઝડપે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ટકારાયા બાદ દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, રાજકોટ અને મોરબીમાં 100 કિમીની ઝડપે ફૂંફાઈ શકે છે. આ સિવાય કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે તો રાજકોટ, મોરબી, જૂનાગઢ સહિતના જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડશે. રાહત અને બચત કામગીરી માટે 18 એનડીઆરએફ, 12 એસડીઆરએફ, લશ્કરની 10 રિલીફ ટીમો, સ્થાનિક ફાયર બ્રિગેડ, મોટી સંખ્યામાં પોલીસની ટીમને તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂરેન્દ્ર પટેલે કેન્દ્રીયય એજન્સીઓના સહયોગ સાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી.