કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત પછી મુખ્ય પ્રધાનની પસંદગીનું કોકડું ઉકેલાયું છે, પણ આ જીતથી કોંગ્રેસે વિપક્ષને મેસેજ આપી દીધો છે આ તો ફક્ત ટ્રેલર છે પણ વાસ્તવમાં ટકકર તો લોકસભાની ચૂંટણીમાં થશે. ચૂંટણી જીત્યા પછી બે જૂથ ( સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર)ને એક કરવામાં કોંગ્રેસ હાઈ કમાન્ડને ખાસ્સી મહેનત કરવી પડી છે, પણ એમાં પોતાનું હિત સાધી લેવામાં આવ્યું છે. બીજું આવતીકાલની કેબિનેટમાં પ્રધાનોની પસંદગી પણ જ્ઞાતિ આધારે થાય તો નવાઇ થશે નહિ અને એનું કારણ પણ આગામી લોકસભાની ચૂંટણી છે. કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે બપોરે ૧૨ઃ૩૦ કલાકે બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધારમૈયા સહિત ૨૧ વિધાનસભ્ય પ્રધાન તરીકે શપથ લઈ શકે છે. તે પહેલા પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા દિલ્હી જઈ રહ્યા છે. દિલ્હી જતા પહેલા ડીકે શિવકુમારે કહ્યું કે તેઓ પ્રધાનોના નામ અને શપથગ્રહણની તૈયારીઓ અંગે ચર્ચા કરશે. ફક્ત સીએમની ખુરશી માટે જે ડ્રામા ચાલતો હતો તે પૂરો થઈ ગયો હવે પ્રધાનમંડળની પસંદગીમાં કોઈ અવરોધ આવે નહિ એની તકેદારી રાખવામાં આવશે. હાલમાં તો વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા કર્ણાટકના નવા સીએમ હશે, જ્યારે પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર તેમના નાયબ હશે. શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે બપોરે સાડા બાર વાગ્યે બેંગલુરુના કંતીરવા સ્ટેડિયમમાં યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધારમૈયા સહિત ૨૧ વિધાનસભ્ય આવતીકાલે પ્રધાન તરીકે શપથ લઈ શકે છે, એવું સૂત્રોએ જણાવ્યુ હતું.
આવતીકાલના શપથ ગ્રહણમાં કાં તો તમામ પ્રધાન એકસાથે શપથ લેશે અથવા તો તેમાંથી બારને આવતીકાલે અને બાકીના પછીથી શપથ લઈ શકે છે. કર્ણાટક કેબિનેટમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને જૂથનું ધ્યાન રાખવામાં આવી શકે છે . એવું કહેવામાં આવી રહ્યું છે કે જમીર અહેમદ ખાન અને એચસી મહાદેવપ્પા જેવા વિધાનસભ્યો સિદ્ધારમૈયાના કેમ્પના છે, જ્યારે લક્ષ્મી હેબ્બલકર, મગડી બાલકૃષ્ણ જેવા સભ્યો ડીકે શિવકુમારના કેમ્પના છે. અન્ય તમામ સભ્યો હાઈકમાન્ડની ઈચ્છાથી પ્રધાન બનશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં જ્ઞાતિના આધારે વિશેષ ધ્યાન આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર માનવામાં આવી રહ્યું છે કે લિંગાયત સમુદાયમાંથી પાંચ, વોક્કાલિગા સમુદાયમાંથી ચાર, જ્યારે મુસ્લિમ, દલિત અને ઓબીસી ક્વોટામાંથી ત્રણ ત્રણ પ્રધાન બનાવવામાં આવશે. લિંગાયતમાંથી એમબી પાટીલ, લક્ષ્મણ સાવડી, ઈશ્વર ખંડ્રે, એચકે પાટીલ અને લક્ષ્મી હેબ્બાલકરને પ્રધાન બનાવવામાં આવી શકે છે, જ્યારે વોક્કાલિગા સમુદાયમાંથી ડીકે શિવકુમાર , મગડી બાલકૃષ્ણ, એચસી મહાદેવપ્પા, કૃષ્ણ બાયરે ગૌડાને બનાવવામાં આવી શકે છે. બીજી તરફ દલિત ક્વોટામાંથી જી પરમેશ્વર, પ્રિયંક ખડગે, કેએચ મુનિયપ્પા અથવા રૂપા શશિધરને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
આ ઉપરાંત, જો ઓબીસી કેટેગરીની વાત કરીએ તો બીકે હરિપ્રસાદ, રામલિંગા રેડ્ડી અને મધુ બંગારપ્પાને પ્રધાનપદ મળી શકે છે, જ્યારે મુસ્લિમ સમુદાયમાંથી જમીર અહેમદ ખાન, યુટી કાદર, તનવીર સેઠ. આ સિવાય ખ્રિસ્તી સમુદાયના કેજે જ્યોર્જ અને બ્રાહ્મણ આરવી દેશપાંડેને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. કર્ણાટકમાં સીએમ સહિત કુલ ૩૪ કેબિનેટ બર્થ છે.