હાલના સમયમાં બેન્કોની એનપીએ સતત વધતી જઈ રહી છે. બેન્કો દ્વારા કાર્યવાહી કરવામાં આવતા મોટાભાગના લોકોને તાત્કાલિક ફ્રોડ જાહેર કરી દેવામાં આવે છે. જેના કારણે લોકોને ભોગવવાનો વારો આવે છે અને તેમને ફરીવાર કોઈ લોન આપતું નથી. આ દરમિયાન સુપ્રીમકોર્ટે તેના એક મહત્ત્વના ચુકાદામાં કહ્યું કે કોઈપણ લોનધારકના એકાઉન્ટને ફ્રોડ જાહેર કરતા પહેલા તેને એકવાર સુનાવણી કે તેની વાત રજૂ કરવાની તક આપવામાં આવે. સુપ્રીમકોર્ટનો આ ચુકાદો બેન્કો માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. કેમ કે તે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા માસ્ટર સર્ક્યુલરનું પાલન કરીને આ કાર્યવાહી કરતી હતી.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે ડિસેમ્બર ૨૦૨૦માં તેલંગાણા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. બેન્ચે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પણ રદ કરી દીધો હતો જે તેનાથી વિપરિત હતો. બેન્ચે કહ્યું કે કોઈપણ લોનધારક કે ખાતાધારકના એકાઉન્ટને ફ્રોડ જાહેર કરવાના ગંભીર પરિણામો આવે છે. આ લોનધારકને બ્લેક લિસ્ટ કરી દેવા સમાન જ બાબત છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કમ્યુનિકેશનના પૂર્વ ડિરેક્ટર અનિલ અંબાણી અને અન્યોએ જુદી જુદી હાઈકોર્ટમાં તેમના એકાઉન્ટને ફ્રોડ જાહેર કરવા અને કેન્દ્રીય બેન્કના સર્ક્યુલરના આધારે સીબીઆઈને તપાસ માટે મોકલવા મામલે અપીલ કરી હતી. એસબીઆઇએ તેની ફરિયાદ સીબીઆઈને મોકલી હતી પરંતુ સીબીઆઈ કોર્ટના આદેશને લીધે કેસ દાખલ કરી શકી નહોતી.