રવિવારે (૨૯ જાન્યુઆરી) રાજ્યમાં જૂનિયર ક્લાર્કની પોસ્ટ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ કેન્દ્રો પર નવ લાખથી વધારે ઉમેદવારો ભારે આશા સાથે પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા અને ૧૧ વાગ્યે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર લીક થઈ ગયું હતું. જે બાદ માત્ર ઉમેદવારો જ નહીં પરંતુ વિપક્ષના નેતાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કેસમાં ગુજરાત એટીએસ અત્યારસુધીમાં ઘણાની ધરપકડ કરી ચૂક્યું છે અને સોમવારે સાંજે વધુ એક આરોપીને પકડવામાં આવ્યો હતો. આ આરોપીનું નામ સરોજ મલ્લા છે અને તે ઓડિશાના મલકાનગીરી જિલ્લામાં આવેલી કર્તનપલ્લી સરકારી હાઈ સ્કૂલમાં વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ અગાઉ ગુજરાત એટીસીએસે ૧૫ની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, લીક થયેલા પ્રશ્નો માલુને મોકલવામાં આવ્યા હતા અને તેણે જવાબો લખી આપ્યા હતા. ’ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ માહિતીના આધારે, તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના પગલે શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી’, તેમ મલકાનગીરીના એસપી નિકેશ વાધ્વાનીએ જણાવ્યું હતું. જીપીએસએસબીએ (ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ) જણાવ્યું હતું કે, મળેલી બાતમીના આધારે પોલીસે રવિવારે એક શંકાસ્પદની અટકાયત કરી હતી અને પ્રશ્નપત્રની નકલ જપ્ત કરી હતી. આ દરમિયાન પંચાયત વિભાગના કમિશનરે પત્રકારોને જણાવ્યું હતું કે, પરીક્ષા આગામી ૧૦૦ દિવસમાં લેવામાં આવશે.
પેપર લીક કૌભાંડમાં અત્યારસુધીમાં ઘણા ખુલાસા થઈ ચૂક્યા છે, જે મુજબ પરીક્ષાની આગલી રાતે જ પેપર ફૂટી ગયું હતું. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતકાં શ્રદ્ધાકર ઉર્ફે જીત સહદેહ લુહાએ પેપર લીક કર્યું હતું. તેણે સાત લાખમાં હૈદરાબાદના પ્રદિપ નાયક સાથે સોદો કર્યો હતો અને ટુકડા-ટુકડામાં તેને અત્યારસુધીમાં ૭૨ હજાર મળ્યા હતા. પ્રશ્નપત્ર પ્રદિપના હાથમાં આવ્યા બાદ તેણે વોન્ટેડ મુરારી પાસવાન તેમજ નરેશ મોહંતી એક પેપર પાંચ લાખમાં આપવાનું નક્કી કર્યું હતું. મુરારી પાસવાને કમલેશ ભીખારીને પેપર છ લાખમાં, કમલેશે મહોમ્મદ ફિરોઝને સાત લાખમાં આપવાનું નક્કી કર્યું હતું. આ સિલસિલો યથાવત્ રહ્યો હતો. ફિરોઝે પેપર સર્વેશને આઠ લાખમાં, સર્વેશે પ્રભાત કુમાર, મુકેશ તેમજ મિન્ટુને નવ લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. તો મિન્ટુ ૧૦ લાખમાં વડોદરાના ભાસ્કર ચૌધરીને આપવાનો હતો. આ સિવાય બાકીના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
વડોદરાની સ્ટેટ વાઈઝ ટેકનોલોજીના સંચાલક મૂળ બિહારના ભાસ્કર ગુલાબચંદ ચૌધરી (રહે. સમશેરા લક્ઝરી ફ્લેટ, છાણી)ની બે વર્ષ પહેલા સીબીઆઈ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી ચૂકી હોવાની માહિતી સામે આવી છે. ભાસ્કર ચૌધરી પોતાના કોચિંગ ક્લાસમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતો હતો અને ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરતો હતો.
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લેવા માટે ૧૨ જેટલા ઉમેદવારો અટલાદરા ખાતેના ક્લાસ પર પહોંચ્યા હતા. આ ઉમેદવારો પેપર લીક થયાની વાત ફેલાવી ન દે તે માટે તેમને આખી રાત અટલાદરાની સ્ટેટ વાઈઝ ટેકનોલોજીની ઓફિસમાં બેસાડી તૈયારી કરાવવાની ભાસ્કરની યોજના હતી.
આગળની પોસ્ટ