તમિલનાડુના મદુરાઈમાં એક હિન્દુવાદી નેતાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. પોલીસે કેસ નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણ જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તેનું નામ મણિકંદન છે. તેઓ હિન્દુ મક્કલ કચ્છી નામના હિન્દુવાદી સંગઠનના દક્ષિણ જિલ્લાના ઉપ પ્રમુખ હતા. મંગળવારે રાત્રે મણિકંદનને લોકોના એક જૂથે રસ્તામાં રોક્યો અને તેની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગયા વર્ષે જુલાઈ ૨૦૨૨માં કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં ભાજપ યુવા મોરચાના જિલ્લા સચિવ પ્રવીણ નેતારુની હત્યા કરવામાં આવી હતી. પ્રવીણ નેતારુની દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારે વિસ્તારમાં મરઘાંની દુકાન છે. તેઓ રાત્રે ૯ઃ૦૦ વાગ્યા આસપાસ દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ અજાણ્યા લોકોએ તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. પ્રવીણ પર એક પછી એક અનેક હુમલા કરવામાં આવ્યા હતા. આ કેસમાં એનઆઈએએ સપ્ટેમ્બરમાં દક્ષિણ કન્નડ જિલ્લામાં પીએફઆઈના રાજકીય પક્ષ એસડીપીઆઈના નેતાના ઘરે દરોડા પાડ્યા હતા. એનઆઈએએ દક્ષિણ કન્નડ જિલ્લાના પરલિયા નજીક બંટવાલા તાલુકાના બીસી રોડ પર સ્થિત એસડીપીઆઈરાષ્ટ્રીય સચિવ રિયાઝ ફરાંગીપેટના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એજન્સીએ રિયાઝનો મોબાઈલ પણ જપ્ત કર્યો હતો. આ પહેલા એનઆઈએએ પ્રવીણ હત્યા કેસમાં ૩૩ જગ્યાએ દરોડા પાડીને પુરાવા એકત્ર કર્યા હતા.