ભારત અને શ્રીલંકા આવતા મહિને શ્રીલંકાના જાફના જિલ્લાના કંકેસંથુરાઈ બંદર અને પુડુચેરી વચ્ચે પેસેન્જર ફેરી સેવા શરૂ કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બંદરો, શિપિંગ અને નાગરિક ઉડ્ડયન પ્રધાન નિમલ સિરીપાલા ડી સિલ્વાએ જણાવ્યું હતું કે, આવતા વર્ષે જાન્યુઆરીના મધ્ય સુધીમાં ફેરી સેવા શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીએ કહ્યું કે, ભારત સરકારે આ સેવા માટે સંમતિ આપી છે. તેમણે કહ્યું કે, જાફના દ્વીપકલ્પમાં સંખ્યાબંધ ભારતીય નાગરિકો વ્યાપારી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. આવા જોડાણ સાથે, નવી સેવાથી વિદેશી આવકનો મોટો હિસ્સો પેદા થવાની અપેક્ષા છે. આનાથી ભારત આવતા બૌદ્ધ યાત્રાળુઓને પણ ઘણી સુવિધા મળશે. દક્ષિણ ભારતથી શ્રીલંકાના ત્રિંકોમાલી અને કોલંબો સુધી પેસેન્જર પરિવહન સેવાઓ પણ શરૂ કરવામાં આવશે. હજુ સુધી થલાઈમન્નાર અને ભારત વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવા અંગે કોઈ નક્કર નિષ્કર્ષ નથી.
તેમણે કહ્યું કે, ફેરી સર્વિસ શરૂ કરવાનું પગલું બંને દેશોના લોકોની માંગ પર લેવામાં આવ્યું છે. ફેરી માલિકોના જણાવ્યા અનુસાર, નવી સેવા હેઠળ જહાજ એક જ સફરમાં ૩૦૦ થી ૪૦૦ મુસાફરોને લઈ જશે. સ્થળો વચ્ચે લગભગ સાડા ત્રણ કલાકનો સમય લાગશે. ફેરી માલિકોએ સૂચવ્યું હતું કે, તેઓએ પ્રવાસ માટે પ્રતિ મુસાફરે લગભગ ૨૧,૦૦૦ નો ચાર્જ કરવો પડશે અને દરેક મુસાફર ૧૦૦ કિલો સુધીનો સામાન લઈ જઈ શકશે.
આગળની પોસ્ટ