માંગરોળ તાલુકાના વાંકલ ગામે રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ એવોર્ડથી સન્માનિત થયેલા ઉષાબેન વસાવા અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાના મહિલા સ્વ સહાય બચત જૂથોનું સન્માન, કેટલ શેડ યોજનાના 178 લાભાર્થીઓને મંજૂરી પત્રો એનાયત અને 25 લાખના ખર્ચે વાંકલ ગામે નિર્માણ થયેલા પંચવટી વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન સહિતનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં મહિલા સ્વ સહાય મહિલા બચત જુથો ચાલી રહ્યા છે. જૂથો દ્વારા ઉદ્યોગિક કૌશલ્ય અને સામાજિક પ્રયાસો થકી આદિવાસી સમાજના લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો કરવા ના સંનિષ્ઠ પ્રયાસો દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી બચત જૂથોએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્યારે આ બચત જૂથોને સરકાર દ્વારા સન્માનવાનો એક કાર્યક્રમ વાંકલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને રાષ્ટ્રપતિ ના હસ્તે નારી શક્તિ એવોર્ડથી સન્માનિત થયેલા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઉષાબેન દિનેશભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે સ્વ સહાય મહિલા બચત જુથની બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રપતિ એવોર્ડ કેવી કામગીરી કરવાથી પ્રાપ્ત થયો તે અંગે બચત જૂથો માં પોતે કરેલ કામગીરી નું વર્ણન કરી મહિલાઓને આ પ્રમાણેની કામગીરી કરવા શીખ આપી હતી પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાનું વાંકલ યુવક મંડળ દ્વારા સન્માન કરાયું હતું ત્યારબાદ તેમણે સરકારની વિકાસ લક્ષી યોજનાઓ અને છેવાડાના માનવી સુધી સરકારે પહોંચાડી લાભો અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ પશુપાલન માટે સરકારની કેટલ શેડ યોજના હેઠળ આપવામાં આવતી સહાય અંગેના 178 લાભાર્થીઓ ને મંજૂરી પત્રો અર્પણ કર્યા હતા વાંકલ ગામે વનવિભાગ દ્વારા રૂપિયા ૨૫ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ પંચવટી વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત તાલુકા પંચાયતના સદસ્ય ડોક્ટર યુવરાજસિંહ સોનારીયા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હર્ષદભાઈ ચૌધરી જગદીશભાઈ ગામીત તાલુકા પંચાયત સદસ્ય તૃપ્તિબેન મૈસુરીયા, ભૂમિબેન બ્રહ્મભટ્ટ સહિત અનેક આગેવાનો અને બંને તાલુકાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.