પોરબંદર શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. શહેરના સુદામાચોકેથી બાઇક રેલીનો પ્રારંભ થશે. શહેરના રાજમાર્ગો પર ફરીને રોકડિયા હનુમાન મંદિરે આ બાઇક રેલી પુર્ણ થશે. આ બાઇક રેલીમાં હિન્દુ સમાજના યુવાનોને બહોળી સંખ્યામાં જોડાવા અપીલ કરાઇ.
ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીના જન્મોત્સવને લઇને પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરમાં હનુમાનજીના જન્મોત્સવને લઇને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા હનુમાનજીના જન્મોત્સવને વધાવવા પોરબંદરની ધર્મપ્રેમી જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણીના સ્વરૂપે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં તા.૧૬ને શનિવારે સુદામાચોકથી બાઇક રેલીનો પ્રારંભ કરી માણેકચોક, સ્વસ્તિક હોલ, બંદર રોડ, પાલાનો ચોક, શહિદચોક, શિતલાચોક, હનુમાન ગુફાથી રાણીબાગ, હારમની ફુવારા, જુરીબાગ વિસ્તાર, વીરભનુની ખાંભી, કમલબાગ, નરસંગ ટેકરી, આશાપુરા ચોકથી રોકડિયા હનુમાન મંદિરે આ બાઇક રેલી પુર્ણ થશે. વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા આયોજીત બાઇક રેલીમાં હિન્દુ સમાજના દરેક યુવાનોને જોડાવા અપીલ કરાઇ છે. આ બાઇક રેલીમાં બજરંગ વળના ર૦૦ થી વધુ યુવાનો પટ્ટો પહેરી સાથે જોડાશે. તેમજ કેસરી ધજાપતાકા સાથે નિકળનાર હનુમાનજી જન્મોત્સવની આ બાઇક રેલીમાં સર્વે હિન્દુ સમાજના ભાઇઓએ બહોળી સંખ્યામાં જોડાવા અપીલ કરાઇ છે.