બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ ગુજરાત સરકાર તરફથી બોટાદ જિલ્લામાં એક ધન્વંતરી આરોગ્ય રથ ફાળવવામાં આવ્યો છે જેનું લોકાર્પણ બોટાદ જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તાના હસ્તે કરાયું હતું આ સમયે બોટાદ અધિક જિલ્લા કલેક્ટરશ્રી મુકેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
આ લોકાર્પણ સમયે બોટાદ જિલ્લા કલેકટરશ્રીએ ઉપસ્થિત ધન્વંતરી આરોગ્ય રથના અધિકારી – કર્મચારીશ્રીઓ સાથે આ રથ વિશેની જરૂરી પ્રાથમિક માહિતી મેળવી ચર્ચા વિચારણા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ધન્વંતરી આરોગ્ય રથ બોટાદ જિલ્લામાં ચાલતી સાઈટો, કડીયાનાકા, શ્રમિકોની વસાહતો તથા શ્રમિકોના કામના સ્થળે કેમ્પ ગોઠવી શ્રમિકોની શારીરિક તપાસ કરી તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલ્ટી, ચામડીના રોગો વગેરેની નિ:શુલ્ક પ્રાથમિક સારવાર અને જરૂર જણાય તો સ્થળ ઉપર જ લોહી તેમજ પેશાબના રીપોર્ટ નિ:શુલ્ક કરી આપવામાં આવશે.
ધન્વંતરી આરોગ્ય રથનું સંચાલન અને દેખરેખ નિરીક્ષકશ્રી, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી, એ/એસ/૩, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ દ્વારા કરવામાં આવશે. જિલ્લાના બાંધકામ શ્રમિકો તથા અન્ય શ્રમિકોને વધુમાં વધુ લાભ લેવા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ બોટાદના પ્રોજેકટ મેનેજરશ્રીએ જણાવ્યું છે.
લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ બોટાદના અધિકારી – કર્મચારીશ્રીઓ તેમજ ધન્વંતરી આરોગ્ય રથના અધિકારી – કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ