માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ઉજવણીનો આનંદ ધર્મપ્રેમી જનતામાં છલકાઇ રહયો છે. તો બીજી તરફ રાષ્ટ્રીયકક્ષાનાં મેળામાં રાજકીય મહાનુભાવોનો મેળાવડો પણ જોવા મળી રહયો છે. મેળાનાં બીજા દિવસે કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડી, પુરવઠા મંત્રી નરેશ પટેલ, ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેબે, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, રાજયમંત્રી અરવીંદભાઇ રૈયાણી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિતિ મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતાં.
આ પ્રસંગે ત્રિપુરાનાં મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેબેએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે ત્રિપુરા સહિત ઉત્તર – પૂર્વીય રાજયનું વિવાહ ઉત્સવનાં માઘ્યમથી ગુજરાતનાં આત્મા સાથે મિલન થયું છે. ભગવાન શ્રીકૃષ્ણનાં લગ્ન ઉત્તર-પૂર્વીય વિસ્તારનં રૂક્ષ્મણીજી સાથે માધવપુરમાં થયાં હતાં. આ એક સંસ્કૃતિ સમન્વયની મહાન સંસ્કૃતિ છે. ભગવાનનાં લગ્ન પ્રસંગે આયોજીત મેળામાં ઉપસ્થિત રહેવાના પ્રસંગને ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી.કિશન રેડ્ડીએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય એકતાનો મેળો છે. ભગવાનનાં લગ્ન ઉત્સવ પ્રસંગે યોજાતો આ મેળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં `એક ભારત શ્રેષ્ઠ ભારત’નાં મંત્રને ચરીતાર્થ કરી ઉત્તરપુવીય રાજયો અને ગુજરાતની સંસ્કૃતિને જોડવાનું કામ કરે છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ સી.આર. પાટીલે ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણનાં લગ્ન પ્રસંગે રાષ્ટ્રીયકક્ષાનાં મેળાનું સરકારે શ્રેષ્ઠ આયોજન કર્યુ છે. અને આગામી વર્ષોમાં આ મેળાને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવામાં આવે તેવા આપણા પ્રયાસો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશની સાંસ્કૃતિક વિરાસતોને ઉજાગર કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પોરબંદરનાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, કુતિયાણાનાં ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા, પ્રવાસન વિભાગનાં એમ.ડી. આલોકકુમાર, યુથ કલ્ચર વિભાગનાં કમિશ્નર જોષી, જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી વિનોદ અડવાણી સહિતનાં મહેમાનો ઉપસ્થિત રહયાં હતાં.