ઇન્ડિગો એરલાઇન્સના એક વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ હતુ. ઇન્ડિગો એરલાઇન્સનું વિમાન 6E 7074 અમદાવાદથી નાગપુર થઇને લખનઉં જઇ રહ્યુ હતુ. આ વિમાને સવારે 7 વાગીને 15 મિનિટ પર અમદાવાદથી ઉડાન ભરી હતી. આ વિમાનમાં 50 મુસાફર અને 4 સ્ટાફ મેમ્બર સવાર હતા. પાયલોટને વિમાનમાં ધુમાડો જોવા મળ્યો હતો, જે બાદ સવારે 8 વાગીને 33 મિનિટ પર નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ.
જોકે, કોઇ મુસાફરને ઇજા થવાના સમાચાર નથી. મુસાફરોને સુરક્ષિત ટર્મિનલમાં લઇ જવામાં આવ્યા છે. વિમાનની તપાસ માટે એન્જીનિયરની ટીમ હાજર છે. મુસાફરોને તેમની સુવિધા અનુસાર નાગપુર, દિલ્હી અથવા લખનઉં પહોચાડવામાં આવી રહ્યા છે. કેટલાક મુસાફરોએ પોતાની આગળની યાત્રા સ્થગિત કરી દીધી છે.
આ પહેલા ઝારખંડના રાંચી સ્થિત બિરસા મુંડા એરપોર્ટ પર શનિવારે ઇન્ડિગોના કોલકાતા જતા વિમાનમાં ઉડાન ભરવા દરમિયાન ટેકનિકલ ખામીને કારણે રદ કરવુ પડ્યુ હતુ.રાંચી એરપોર્ટના ડિરેક્ટર વિનોદ શર્માએ જણાવ્યુ હતુ કે ઇન્ડિગોની સવારે 9 વાગીને 5 મિનિટ પર કોલકાતા ઉડાન રવાના થઇ રહી હતી ત્યારે તેનું એસી બંધ થઇ ગયુ હતુ અને અવાજ સંભળાયો હતો, જેનાથી વિમાનમાં સવાર મુસાફર ડરી ગયા હતા.
તેમણે જણાવ્યુ કે તુરંત પાયલોટે વિમાન રોકીને તેને પાર્કિંગમાં લાવ્યો હતો અને તમામ મુસાફરોને ઉતાર્યા બાદ વિમાનની તપાસ કરવામાં આવી તો એસી ખરાબ હોવાની જાણ થઇ હતી.