આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત SAC- ISRO, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા સંયુક્ત રીતે માનવ સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ‘ગગનયાન’ વિશે જનજાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે 3 થી 9 એપ્રિલ દરમિયાન આયોજિત આઉટરિચ પ્રોગ્રામનો શુભારંભ ગઈ કાલે જ કરાયો છે.
સાયન્સ સિટી ખાતે ગગનયાનના ઓર્બિટલ ક્રુ મોડ્યુલનું પ્રોટોટાઈપ મોડલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ મોડ્યુલમાં બેસીને અંતરિક્ષમાં જવાનો અનુભવ મેળવી શકાશે. જે સ્પેસ વિજ્ઞાનમાં ઉત્સુકતા વધારી પ્રોત્સાહન પૂરું પાડશે.
આ 7 દિવસીય કાર્યક્રમ અંતર્ગત અગ્રણી સંસ્થાઓના પ્રખર નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોના સંવાદ ,ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, મોડલ મેકિંગ, નિદર્શન અને ક્વિઝ, વકૃત્વ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. અવકાશ વિજ્ઞાનીઓ સાથે ઇન્ટરેક્ટિવ અને આકર્ષક સત્રો વિદ્યાર્થીઓને સ્ટીમ શાખાઓમાં કારકિર્દી બનાવવા અને ભારતના મહત્વાકાંક્ષી અવકાશ મિશનનો ભાગ બનવા માટે પ્રેરિત કરશે.
ભારતના અતિ મહત્વના હ્યૂમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ગગનયાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુ થી આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આ આયોજન કરાયું છે.