અંધશ્રદ્ધાએ હદ પાર કરાવી:ઝાલોદના ધાવડિયામાં “તું ડાકણ છે, મારા છોકરાને ખાઈ ગઈ છે” તેમ કહી ચાર લોકોએ પથ્થરમારો કર્યો, મહિલા સહિત બે ઈજાગ્રસ્ત
આજે તો બચી ગયા છો તેમ કહી ચાર હુમલાખોરોએ મારી નાખવાની ધમકીઓ આપી
ઝાલોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામે મહિલા સહિત ચાર જેટલા ઈસમોએ ડાકણ હોવાનો વહેમ રાખી એક વ્યક્તિના ઘરે આવી તોફાન મચાવ્યુ હતું. ઈસમોએ મહિલા સહિત બે વ્યક્તિને માર મારી ઘર પર પથ્થરમારો કરી ઘરના નળીયા તોડી નાખી ભારે ધિંગાણું મચાવતા પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે.
ઝાલોદના ધાવડિયા ગામમાં રહેતા ભાભોર પરિવારના સુરસીંગઈ લુજાભાઈ, વિજય સુરસીંગભાઈ, નરેશ સુરસીંગભાઈ અને નંદાબેન સુરસીંગભાઈ ભેગા મળી પોતાના ગામમાં રહેતા શૈલેષભાઈ રમસુભાઈ ભાભોરના ઘરે આવ્યા હતા. તેમજ બેફામ ગાળો બોલી “લલીતાબેન તું ડાકણ છે અને અમારા છોકરાને ખાઈ ગઈ છે” તેમ કહી પથ્થરમારો કર્યો હતો. જેને પગલે લલીતાબેનને માથાના પાછળના ભાગે ઈજા પહોંચી હતી અને રમસુભાઈને લાકડી વડે બરડાના ભાગે માર મારતા તેમને પણ ઈજાઓ પહોંચાડી હતી.
ઉપરાંત આજે તો બચી ગયા છો હવે પછી અમારા માણસને કોઈ નુકસાન થશે તો મારી નાખીશ, તેવી ધમકી આપી શૈલેષભાઈના ઘર ઉપર ભારે પથ્થરમારો કરી ઘરના નળીયા તોડી નાંખી નુકશાન પહોંચાડ્યું હતું. આ સંબંધે શૈલેષભાઈ રમસુભાઈ ભાભોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.