ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાસનના ૧,૪૬૦ દિવસ પૂરા કર્યા છે. એટલે કે ૭મી ઓગષ્ટ, ૨૦૧૬ના દિવસે મુખ્યમંત્રી પદે નિયુક્ત થયેલા રૂપાણીએ ચાર વર્ષ પૂર્ણ કર્યાં છે. રૂપાણીને પાર્ટીના અંદરના નેતાઓએ ઘેરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેઓ ચૂપચાપ તેમનું શાસન કરી રહ્યાં છે.
દર છ મહિને એટલે કે અત્યાર સુધીમાં આઠ વખત તેમને બદલવાની અટકળો તેજ બની હતી પરંતુ તેઓ યથાવત છે.ગુજરાતના ૧૬મા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓગષ્ટના શ્રાવણ માસમાં તેમના શાસનના ૧,૪૬૦ દિવસ પૂરાં કર્યા છે.
તેમણે ૨૦૧૯ના અંતિમ મહિના ડિસેમ્બરમાં રાજ્યના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતાના કુલ શાસન જેટલા એટલે કે ૧,૨૩૮ દિવસોનો રેકોર્ડ તોડ્યો હતો. પાર્ટીમાં વહેતી અટકળો વચ્ચે તેમની ખુરશી આજે પણ સલામત છે.૨૦૨૨ સુધી તેઓ ૨૦-૨૦ ક્રિકેટ મેચ જેવી ઇંનિગ્સ ખેલવાના છે, કારણ કે આ વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેઓ પાર કરવાના છે. વિજય રૂપાણીએ માત્ર જીવરાજ મહેતાના શાસનનો જ નહીં તે ઉપરાંત બળવંત મહેતા (૭૩૮), ધનશ્યામ ઓઝા (૪૮૮), બાબુભાઇ જસભાઇ પટેલ (૧૨૫૩), છબીલદાસ મહેતા (૩૯૧), સુરેશચંદ્ર મહેતા (૩૩૮), શંકરસિંહ વાઘેલા (૩૭૦), દિલીપ પરીખ (૧૨૮) અને આનંદીબહેન પટેલના (૮૦૮) દિવસના શાસનનો રેકોર્ડ તોડ્યો છે.હવે તેમણે ઓગષ્ટ ૨૦૨૦માં કેશુભાઇ પટેલના ૧૩૧૨ દિવસનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતની ગાદી પર ત્રણ મુખ્યમંત્રી એવા આવ્યા છે કે જેમના શાસનના રેકોર્ડ તોડવા મુશ્કેલ છે. જેમાં પહેલા હિતેન્દ્ર દેસાઇ છે. જેમણે ૨,૦૬૨ દિવસનું અને માધવસિંહ સોલંકીએ ૨,૦૧૯ દિવસ સુધી શાસન કર્યું છે. ત્રીજા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે, કે જેમણે સૌથી વધુ ૪,૬૧૦ દિવસ સુધી રાજ્યનું વાયબ્રન્ટ સુકાન સંભાળ્યું છે.