અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેકહે ગૃહમાં અમદાવાદ શહેરમાં શ્રમ કાયદાનો ભંગ કરતા એકમો અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, અમદાવાદ શહેરમાં શ્રમ કાયદાનો ભંગ કરતા ઔદ્યોગિક એકમો સામે છેલ્લા બે વર્ષમાં ૫,૮૩૧ ફરિયાદો મળી છે, જે અન્વયે ૩,૬૭૮ ઔદ્યોગિક એકમોની તપાસ કરવામાં આવી છે.
તપાસ દરમ્યાન કારખાના ધારા-૧૯૪૮ અને તે હેઠળના ગુજરાત કારખાના નિયમો-૧૯૬૩, પગાર ચૂકવણી ધારા-૧૯૩૬ અને તે હેઠળના ગુજરાત પગાર નિયમો-૧૯૬૩ની જોગવાઈઓના ભંગ અંગેની ક્ષતિઓ, શ્રમ કાયદાઓ અનુસાર પત્રકો ન નિભાવવા, પગાર ચૂકવણીમાં વિલંબ, લઘુત્તમ વેતન કરતા ઓછું વેતન, પગારની ચૂકવણી ન કરવી, ઓવરટાઈમની ચૂકવણી ન કરવી, બોનસની ચૂકવણી ન કરવી અથવા ઓછી ચૂકવણી કરવી, નોકરીમાંથી છૂટા કરવા અંગેની ક્ષતિઓ સામે આવી અને ૫૨૬ એકમો સામે ૯૭૧ કેસ કરવામાં આવ્યા છે.
ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, વિકાસશીલ ગુજરાતમાં ઔદ્યોગિક એકમો દ્વારા શ્રમ કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે. સરકારે જણાવ્યું છે કે, શ્રમ કાયદાના ભંગ અંગે મળેલ ફરિયાદો અન્વયે ૩,૬૭૮ એકમોની તપાસ કરવામાં આવી છે અને ૫૨૬ એકમો સામે ૯૭૧ કેસ કરવામાં આવ્યા છે. ત્યારે શું અન્ય ૩,૧૫૨ એકમો નિર્દોષ છે ? તેમ કહી કોંગ્રેસના ધારાસભ્ય એ સવાલ ઉભા કર્યા હતા.
સરકાર આવા એકમો સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગણી ગ્યાસુદ્દીન શેખે કરી હતી.