જૂન મહિનાના અંતથી શરૂ થયેલા ચોમાસાનો હજી તો એક જ મહીનો વિત્યો છે જેમાં ચારેકોર જળબંબાકાર કરી દેતા તબાહીનો મંજર જોવા મળ્યો છે. અમદાવાદ સહિતના શહેરોના રસ્તાઓ પર વરસાદી પાણીએ પૂર જેવી સ્થિતિ પેદા કરી હતી. તો બનાસકાંઠામાં ધાનેરામાં ભારે તબાહી જોવા મળી. આ ઉપરાંત પાટણ, સાબરકાંઠા અરાવલી, ચોટીલા, મોરબી ટંકારા, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ગુજરાતમાં એવી સ્થિતિ પેદા થઈ કે જે છેલ્લાં ૭૦-૮૦ વર્ષમાં ન જોવા મળી હોય. ગુજરાતના લગભગ ૯૮ ટકા વિસ્તારમાં એક સાથે ભારે વરસાદને પગલે એક તબક્કે તો એવું લાગતું હતું કે જાણે આખું ગુજરાત જ વરસાદી પૂરમાં ડૂબમાં જઈ રહ્યું હોય. વરસાદે વેરેલા વિનાશમાં ગુજરાતમાં કુલ ૨૧૬ માનવ જિંદગીઓ ભરખાઈ ગઈ. તો ૪૧૪૨ પશુઓના મોત થયાં. જોકે તંત્રની સતર્કતાને કારણે માનવ મૃત્યુઆંક ઘટ્યો હોવાનો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો હતો.
રાજ્યના મહેસૂલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર ખાતે સંબોધેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ૭૦ થી ૮૦ વર્ષમાં ન આવ્યું હોય તેવું પૂર બનાસકાંઠામાં આવ્યું. તંત્રની સતર્કતાને કારણે માનવ મૃત્યુઆંક ઘટ્યો છે. બનાસકાંઠાના સૌથી અસરગ્રસ્ત વિસ્તારો જેવા કે કાંકરેજ, રાધનપુર, ડીસા. સાંતલપુર, ધાનેરા હારીજ , લાખાણી, વાવ જેવા વિસ્તારોમાં અસરકારક ઝડપી કામગીરી કરવા માટે જવાબદારીની વહેંચણી કરવામાં આવી છે. જેમાં કાંકરેજની જવાબદારી ચુડાસમાને સોંપાઈ હોવાનું જણાવ્યું હતું. જ્યારે મંત્રી ગણપત વસાવાને રાધનપુરની જવાબદારી સોંપાઈ છે. મંત્રી આત્મારામ પટેલને ડીસાની જવાબદારી સોંપાઈ છે. મંત્રી બાબુ બોખરિયાને ધાનેરાની જવાબદારી છે.મંત્રી જયેશ રાદડીયાને સાંતલપુરની જવાબદારી સોંપાઈ છે.મંત્રી દિલીપસિંહને હારીજની જવાબદારી સોંપવામાં આવી છે.જ્યારે કેબિનેટ મંત્રી શંકર ચૌધરીને વાવની જવાબદારી સોંપાઈ છે. મંત્રી કેશાજી ચૌહાણને લાખણીની જવાબદારી આપવામાં આવી છે.મંત્રી જયેશ રાદડીયાને સાંતલપુરની જવાબદારી સોંપવામાં આવી છે.મંત્રી નાનુ વાનાણીને સૂઈ ગામની જવાબદારી આપવામાં આવી છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે મંત્રીઓ સોંપાયેલી જવાબદારી વાળા સ્થળે ૩ દિવસ રહેશે. જેમાં સૌથી પહેલા સફાઈ, પછી પાણી, વિજળી અને પછી કેશ ડોલ્સ, કીટ અને વેપારીઓને નુકસાન પેટે વળતર, અને મૃતકોના કુટુંબીજનોને વળતર પેટે સરકારી સહાયની ચૂકવણી કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગરથી પરિસ્થિતિ પર નજર રાખશે.
હાલ રાજ્ય સરકાર બનાસકાંઠાથી ચાલી રહી છે. સીએમ વિજય રૂપાણી બનાસકાંઠામાંથી નીતિવિષયક નિર્ણયો લઈ રહ્યાં છે. સાથોસાથ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય બને.. અને બનાસકાંઠા પૂર્વવત બને તે માટે રાહત સામગ્રી અને વિતરણ વ્યવસ્થા પર નજર રાખશે.