ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ૩ દિવસ માટે લખનઉમાં છે. ત્યારે સોમવારે પત્રકાર પરિષદ સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ૨૦૧૯માં ફરી એકવખત મોદી સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમિત શાહે ગુજરાત-બિહાર મુદ્દે કહ્યું કે તેઓએ કોઈ પક્ષ તોડવાનું કામ કર્યુ નથી.
ગુજરાતમાંથી રાજ્યસભાના પદ માટે ઉમેદવારી નોંધાવનાર અમિત શાહને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ કોઈ મંત્રી બનવા જઈ રહ્યાં છે, ત્યારે તેમણે કહ્યું કે, કોઈ મંત્રી પદની ઈચ્છા નથી માત્ર ભાજપનો અધ્યક્ષ બન્યો છું તેનાથી ઘણો જ ખુશ છું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર મોટો જુમલો કર્યો અને કહ્યું કે,૧૦ વર્ષ સુધી કૌભાંડ અને ગોટાળાવાળી સરકાર ચાલી. અમારી સરકાર પર એકપણ આક્ષેપ નથી. યુપીએના શાસનમાં લગભગ ૧૨ લાખ કરોડના કૌભાંડો થયા. ત્રણ વર્ષમાં દેશમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. અને ત્રણ વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ તેજ થયો છે.
અમિત શાહે વધુમાં કહ્યું કે,ગરીબોના વિકાસ માટે મોદી સરકારે અનેક કાર્યો કર્યા. ઉજ્જવલા યોજના અંતર્ગત સરકારે ગરીબોને ૨ કરોડ ૬૦ લાખ સિલિન્ડર આપ્યાં. ૧૩ હજાર ગામોમાં વીજળી પહોંચાડવામાં આવી.દેશની સુરક્ષા માટે કોઈ બાંધછોડ નહીં. સર્જિકલ સ્ટ્રાઈકથી દેશનું ગૌરવ વધ્યું. આ ઉપરાંત મોદી સરકારે વન રેન્ક વન પેન્શન યોજના પણ આપી.અંતરિક્ષ વિજ્ઞાનમાં ભારતે અનેક કિર્તીમાન સ્થાપ્યાં હોવાનું જણાવી અમિત શાહે કહ્યું કે,પછાત વર્ગ માટે આયોગને બંધારણિય માન્યતા આપવામાં આવી. મોદી સરકારમાં સાડા ચાર કરોડ શૌચાલય બન્યાં. નોટબંધીના માધ્યમથી કાળું ધન બહાર આવ્યું. કાળા ધન વિરૂદ્ધ સરકારે એસઆઇટીની રચના કરી.૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મોદી સરકાર યુપીની યોગી સરકારને વધુ પૈસા આપી રહ્યાં છે. યુપીમાં વીજળીની સુવિધામાં સુધારો થયો છે. યુપીમાં ઘઉંની ખરીદીનું કામ થયું છે, અને વચેટિટાઓને આ માટે અલગ રાખવામાં આવ્યાં છે. આજે પૈસા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યાં છે.”