સુરેશ ત્રિવેદી, ભાવનગર
દેશમાં થતાં બાળ મરણમાં મોટો હિસ્સો ન્યૂમોનિયાનો છે. તે ચેપી હોવાથી તેનાથી બાળકોમાં મૃત્યુનું પ્રમાણ પણ ઉંચુ રહે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કે જ્યાં વાલીઓમાં તેના વિશે જાગૃતતાનું પ્રમાણ ખૂબ ઓછું છે. તદઉપરાંત તેઓ દર્દીને દવાખાને લઇ જવામાં પણ ઘણી વાર ઉદાસીનતા દાખવતાં હોય છે ત્યારે તેની ગંભીરતા વધી જાય છે.
આમ, ન્યૂમોનિયાને કારણે થતાં બાળ મરણને અટકાવવાં માટે નાના બાળકોને આ નવી ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિન આપવી જરૂરી છે. આ રસી આપવાથી બાળકોમાં એક પ્રકારની રોગપ્રતિકારક શક્તિ જન્મે છે અને તેનાથી ન્યૂમોનિયા જેવાં ચેપી રોગ સામે રક્ષણ મેળવવાં માટે તે અસરકારક સાબિત થાય છે.
ન્યૂમોકોકલ ન્યૂમોનિયા એક પ્રકારનો ફેફસાનો ચેપ છે. જેમાં બાળકને શ્વાસ લેવામાં મુશ્કેલી, થાય છે. છાતી અંદરની તરફ ખેંચાય છે તેમજ બાળકને તાવ આવે છે અને ઉધરસ થાય છે.
આ રસીને કારણે ગ્રામ્ય સ્તરે બાળકોમાં રેફરલ ઘટાડી શકાશે અને તેનાથી થતાં બાળ મરણમાં પણ નોંધપત્ર ઘટાડો થશે. જો અસરકારક રસીકરણ કરવામાં આવે તો વાતાવરણમાંથી જ ન્યૂમોનિયાના બેક્ટેરિયા સામેના ચેપનું જોખમ ઘટાડી શકાશ છે.
ખાનગી ક્ષેત્ર માટે આ એક ખૂબ જ મોંઘી રસી છે. જેનો ભાવ ઍક રસીના ડોઝના રૂા. ૨ હજાર થી રૂા. ૨૫૦૦ થાય છે. જેને હવે રાજ્ય સરકાર દ્વારા તમામ બાળકોને મફતમાં આપવામાં આવશે.