શહેરના નરોડા વિસ્તારમાં વિદ્યાર્થી યુવકને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે સીલ્વર ઓક એન્જિનીયરીંગ કોલેજના બી.ઈ. મિકેનિકલકલમાં અભ્યાસ કરતાં આરોપી વિદ્યાર્થી વિશાલગીરી ગોસ્વામીને રૂ.૧૦ હજારના શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે અરજદાર વિદ્યાર્થીને જામીન આપતાં તેની શૈક્ષણિક કારકિર્દી બગડવા સામે રાહત મળી છે. જો કે, કોર્ટે તેની પર નિયત શરતો પણ લાદી હતી. અરજદાર વિદ્યાર્થી વિશાલગીરી ગોસ્વામી તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદાર વિદ્યાર્થીને મરનાર વિદ્યાર્થી યુવક સાથે કોઇ અંગત દુશ્મનાવટ કે કોઇ અગાઉની અદાવત કે ઝઘડો ન હતો.અરજદારે જયારે મરનારને તેની મહિલા મિત્રના ફેસબુક એકાઉન્ટ અને ખોટા મેસેજ કરવા બદલ ઠપકો આપ્યો હતો અને પછી જતા રહ્યા હતા. એ પછી મરનારના ઘરમાં શું બન્યુ કે તેના પરિવાર જનોએ કંઇ કીધુ હોય કે, અન્ય કોઇ વાત બની હોય અને તેનાથી વ્યથિત કે હતાશ થઇને મરનારે આત્મહત્યા કરી હોય એવું બની શકે. આ સંજોગોમાં અરજદાર વિરૂધ્ધ ૩૦૬નો આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો લાગી શકે નહી. અરજદાર ૧૯ વર્ષનો વિદ્યાર્થી છે અને જો તેને જામીન ના અપાય તો તેની શૈક્ષણિક કારકિર્દી રોળાઇ જાય તેમ છે. આ સંજોગોમાં હાઇકોર્ટે અરજદાર વિદ્યાર્થીને જામીન આપવા જોઇએ. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી હતી અને અરજદાર વિદ્યાર્થીને શરતી જામીન પર મુકત કર્યો હતો.