સુરેશ ત્રિવેદી, ભાવનગર
ભાવનગરના એક અનોખા ડોક્ટરે કોરોના રસીકરણ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પોતાની કારને જ રથમાં ફેરવી નાખી છે. આ કાર પર કોરોના રસીકરણ વિશે જાગૃતિ લાવતાં સૂત્રો ચિપકાવીને તેઓ અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં બે હજાર કિલોમીટરનો પ્રવાસ કરી ચૂક્યા છે. અને હજી તેમની આ પ્રવૃત્તિ સતત ચાલું છે.
ભાવનગરના આ વ્યક્તિનું નામ અજયસિંહ જાડેજા છે. તેઓ ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અને ટ્રાફિક ટ્રેનર પણ છે.તેઓ નાગરિકોને ટ્રાફિક ટ્રેનર હોવાના નાતે નાગરિકોને ટ્રાફિકના નિયમો સમજાવીને એનું પાલન કરવાનાં પાઠ પણ ભણાવે છે. એ રીતે તેઓ લોકોને જાગૃત કરવાના કાર્યમાં પહેલેથી જ સંકળાયેલા છે.
તેઓ કહે છે કે, દેશને ઉપયોગી થાય તેવા કાર્યમાં તેઓ હંમેશા આગળ રહે છે. કોરોનાના શરૂઆતના તબક્કામાં લોકો કોરોનાની રસી લેવા માટે આગળ આવતાં નહોતાં અને રસી લેવાથી એક પ્રકારનો ડર અનુભવતા હતાં.
આ જોઈને પોતે ડોક્ટર હોવાના નાતે તેમને લાગ્યું કે, લોકોમાં કોરોનાની રસી વિશેની જાગૃતિ નથી. તેથી લોકો રસી લેવામાં સંકોચ અનુભવી રહ્યાં છે.
જો લોકોમાં કોરોનાની રસી લેવા માટેની જાગૃતિ ફેલાવવામાં આવે તો લોકો આપોઆપ રસી લેવા માટે આગળ આવશે. આવાં વિચારથી તેમણે પોતાની ગાડીને જ કોરોના રથમાં ફેવરીને લોકોને જાગૃત કરવા માટે રાજ્યનું પરિભ્રમણ કરવાનું શરૂ કર્યું.
તેની શરૂઆત તેમણે ભાવનગર જીલ્લાના નાના ગામો અને કસ્બાઓથી કરી. આ ગામોમાં તેમને મળેલા સારા પ્રતિભાવ બાદ તેમને લાગ્યું કે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ અને તેના વિષે જાગૃતિ લાવવી જોઇએ. અને તે રીતે તેમના આ પ્રવાસની શરૂઆત થઈ.