ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
માહિતી બ્યૂરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર નાયબ પશુપાલન નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના પશુપાલન વિભાગ અંતર્ગત રાજ્યના પશુપાલકો માટે સરકાર દ્વારા અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલી બનાવવામાં આવેલ છે. રાજ્યના પશુપાલકોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા, સરકારના આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. પશુપાલન શાખા દ્વારા આ અરજીઓની ચકાસણી કરી તેને પૂર્વ મંજૂર કરી, લાભાર્થીઓને ખરીદી માટે સમય આપવામાં આવે છે.
વર્ષ ૨૦૨૧-૨૨ માટે પશુપાલન વિભાગ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ મારફત વિવિધ યોજનાઓ અંતર્ગત રાજ્યના પશુપાલકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. આવેલ અરજીઓની ચકાસણી કરી તેને પૂર્વ મંજૂર કરવામાં આવેલ છે.
જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય જાતિના પશુપાલકો માટે પાવર ડ્રીવન ચાફકટરની ખરીદી પર સહાય આપતી યોજનાના ૪૩ લાભાર્થીઓ, અનુ.જાતિના પશુપાલકો માટે પાવર ડ્રીવન ચાફકટરની ખરીદી પર સહાય આપતી યોજનાના ૩ લાભાર્થીઓ, સામાન્ય જાતિના પશુપાલકો માટે બકરા એકમ સહાય યોજનાના ૧૨ લાભાર્થીઓ, અનુ.જાતિના પશુપાલકો માટે બકરા એકમ સહાય યોજનાના ૧ લાભાર્થી તેમજ શુદ્ધ સંવર્ધન દ્વારા સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીના પશુપાલકો માટે પ્રોત્સાહક પેટે સહાય આપતી યોજનાના ૧૨૮ લાભાર્થીઓની અરજીઓને પૂર્વ મંજૂર કરવામાં આવી છે.