ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
માહિતી બ્યૂરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
દેશભરમાં કુપોષણને નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ઘટક-૨ ના દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કિશોરીઓને યોગ તેમજ યોગના મહત્વ વિશે વિસ્તૃતપણે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત યોગ કરવાથી મનુષ્યના સ્વાસ્થ્યમાં થતા હકારાત્મક સુધારાઓ વિશે પણ તેઓને માહિતગાર કરાયા હતા.
વધુમાં, આ કાર્યક્રમમાં પ્રવર્તમાન કોવિડ ૧૯ મહામારી સામે રક્ષિત કરતી રસી વિશે પ્રચાર પ્રસાર કરી, લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ લાવવાના પ્રયત્નો કરી, તમામને રસી લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. યોગ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સ્થળો ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સગર્ભા માતા, ધાત્રી માતાને પણ યોગ કરાવી તેના ફાયદા વિશે સમજાવવામાં આવ્યા હતા.