રાજકીય શક્તિ
અનુસુચિત જાતિઓ જો કૉંગ્રેસમાં ભળી જાય તો તે રાજકીય શક્તિ પ્રાપ્ત કરી શકે નહીં. કૉંગ્રેસ એ તો ખૂબ જ મોટું સંગઠન છે, અને જો આપણે તેમાં ભળી જઈએ તો સરોવરમાં જેમ પાણીનું એક ટીપું નાખવામાં આવે એવું થાય, કૉંગ્રેસમાંના લોકો ખૂબ જ અહંકારી છે. એ સંગઠનમાં ભળીને તમે સંગઠનના ઉચ્ચ હોદ્દા પર પહોંચી શકતા નથી. તમે જો કૉંગ્રેસમાં સામેલ થાવ તો તેનાથી માત્ર તમારા શત્રુની શક્તિ વધે છે.
કૉંગ્રેસ એ એક બળતું ઘર છે અને તેમાં તમે ભળી જઈને તમારું કોઈ જ કલ્યાણ સાધી શકશો નહીં. બે-ચાર વર્ષ પછી કૉંગ્રેસનું આ ઘર નાશ પામશે તો તેનું મને આશ્ચર્ય નહીં થાય. સમાજવાદીઓ કૉંગ્રેસમાંથી નીકળી ગયા છે, કૉંગ્રેસમાં દરેક જૂથમાં ફૂટ છે. આ રીતે દિવસે દિવસે કૉંગ્રેસની શક્તિ નબળી થતી જશે એવું લાગે છે. શિડ્યુલ્ડ કાસ્ટસ ફેડરેશનની કૉન્ફરન્સ તા.૨૫ એપ્રિલ, ૧૯૪૮ના રોજ લખનૌ ખાતે મળી હતી. આ કૉન્ફરન્સમાં લખનૌની બેકવર્ડ ક્લાસીસ લીગના નેતાઓ પોતાનાં લોકોની સાથે જોડાયા હતા અને તમની વિનંતીને કારણે ડૉ. બાબાસાહેબ આંબેડકરે પછાત વર્ગોના લોકોના હિતની ખાતર પણ પોતાની બહુમૂલ્ય સમ્મતિ પ્રદાન કરી હતી.
(તા. ૨૫ એપ્રિલ, ૧૯૪૮ના રોજ લખનૌ ખાતે શિડયુલ્ડ કાસ્ટસ ફેડરેશનની મળેલી કૉન્ફરન્સમાં)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ