સુરેશ ત્રિવેદી, ભાવનગર
ભાવનગર ખાતે ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથેની ઉજવણી નવાપરાં ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.
આ અવસરે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ ધ્વજવંદન કરી સલામી ઝીલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે પણ જોડાયાં હતાં.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક ઝાટકે પોતાનું રાજ્ય સૌથી પહેલાં રાષ્ટ્રને ચરણે ધરી દીધું હતું. સરદાર વલ્લભભાઇ પટેલે ૫૬૨ રજવાડાઓ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તો ગાંધીજીએ આખી આઝાદીની લડતનું નેતૃત્વ લીધું હતું. આવા વીર સપૂતો થકી જ રાષ્ટ્ર એકતાના તાંતણે બંધાયું છે. ત્યારે આવાં મહાનુભાવોના સત્કર્મોને યાદ કરી હું તેમને નતમસ્તક વંદન કરું છું.
તેમણે કહ્યું કે, એક ભારત – શ્રેષ્ઠ ભારતના મહામંત્રને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્રના વિકાસની ગતિને બમણાં વેગથી આગળ ધપાવી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીએ એક જ ઝાટકે કલમ ૩૭૦ અને ૩૫- એ ની નાબૂદીના હિંમતભર્યા પગલાને કારણે આજે સાચા અર્થમાં એક અને અખંડ ભારતનુ સ્વપ્ન મૂર્તિમંત થઈ શક્યું છે. સંસદમાં નવું ઓ.બી.સી. બીલ લાવી કરોડો લોકોના વિકાસના દ્વાર ખોલી નાખ્યાં છે.
કોરોના મહામારીમાં વડાપ્રધાનશ્રીના દૂરંદેશી પગલાઓની નોંધ સમગ્ર વિશ્વએ લીઘી છે. લોકડાઉન બાદ રાષ્ટ્રના વિકાસને પુન: વેગવાન બનાવવાં જાહેર કરેલા રૂ.૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજ થકી દેશવાસીઓમા પુન: ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયેલ છે. તાઉ’તે વાવાઝોડામાં વડાપ્રધાનશ્રીએ ગુજરાત માટે રૂા. ૧ હજાર કરોડની અને રાજ્ય સરકારે રૂા. ૫૦૦ કરોડના રાહત પેકેજની તાત્કાલિક સહાય જાહેર કરી લોકોની પડખે સરકાર ઉભી રહી છે.