ભરતસિંહ પરમાર , સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ચોટીલા તાલુકાના રામપરા, કાબરણ, મહિદળ અને ચાણપા ગામોની મુલાકાત દરમિયાન ગામમાં સ્થિત પાણીના સંપની મુલાકાત લઈ જાત ચકાસણી કરી હતી. તેમણે આ તકે લોકોના પીવાના પાણી સહિતના પ્રશ્નો સાંભળ્યા હતા.
મંત્રીશ્રીએ રામપરા ગામમાં પાણીના પ્રશ્નો અંગેની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં રામપરા તેમજ આસપાસના ગામડાઓમાં ઉદ્દભવતા પાણી અંગેના પ્રશ્નો મંત્રીશ્રીએ સહ્રદયતાથી સાંભળી તેની વિસ્તારથી ચર્ચા કર્યા બાદ, વહેલામાં વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. મંત્રીશ્રીએ લોકોની પીવાના પાણીની તકલીફને ધ્યાને લઈ સબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘‘ગામના મૂળમાં રહેલા અગત્યના પ્રશ્નોનું નિરાકરણ લાવવા આજે સરકાર તમારા આંગણે આવી છે”.
મંત્રીશ્રીએ કાબરણ, મહિદળ અને ચાણપા ગામોમાં સ્થિત પાણીના સંપો તેમજ હેડવર્કસની જાત મુલાકાત કરી, ત્યાં સંપ ખાતે ઉદ્દભવતા વિવિધ પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી.
મંત્રીશ્રીએ ચાણપા હેડવર્કસ ખાતે ચોટીલા, થાન અને મુળી વિસ્તારના પાણીના પ્રશ્નો અંગે સ્થાનિક આગેવાનો તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ સાથે એક બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો દ્વારા તેમના વિસ્તારમાં પાણીની મુશ્કેલી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે મંત્રીશ્રીએ પાણી પુરવઠાના અધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો સાથે વિસ્તૃત પણે ચર્ચા કરી તાત્કાલિક તેનું નિવારણ લાવવા સૂચનો આપ્યા હતા.
મંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ ચોટીલા પ્રાંત અધિકારીશ્રી આર. બી. અંગારી, અધિક્ષક ઇજનેરશ્રી એચ. ડી. જોધાની, ચોટીલા તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વિવિધ અધિકારીશ્રીઓ - પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.