સુપ્રીમ કોર્ટે રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોને ૩૧ જુલાઈ સુધીમાં એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ યોજના લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે એક સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના રજિસ્ટ્રેશન અને તેમને લાભ આપવા માટે એનઆઇસીની મદદથી ૩૧ જુલાઈ સુધીમાં પોર્ટલ વિકસિત કરવાના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યા કે કોવિડની સ્થિતિ રહે ત્યાં સુધી પ્રવાસી શ્રમિકોને મફતમાં વિતરણ કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અનાજની ફાળવણી કરો.તેની સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વૈશ્વિક મહામારીની સ્થિતિ ચાલુ રહે ત્યાં સુધી પ્રવાસી શ્રમિકો માટે સામુદાયિક રસોડાઓને સંચાલિત કરે.
કોર્ટે કહ્યું કે, રાજ્ય પ્રવાસી શ્રમિકોને રાશન પૂરું પાડવા માટે યોજના બનાવે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને ૧૯૭૯ના કાયદા હેઠળ તમામ કોન્ટ્રાક્ટરોનું રજિસ્ટ્રેશન કરવાના પણ નિર્દેશ આપ્યા.
જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એમ.આર. શાહની બેન્ચે ત્રણ એક્ટિવિસ્ટની અરજી પર કેન્દ્ર અને રાજ્યોને ખાદ્ય સુરક્ષા, રોકડ રકમ આપવા અને અન્ય કલ્યાણકારી યોજનાઓને સુનિશ્ચિત કરવા માટે દિશા-નિર્દેશ આપ્યા. એક્ટિવિસ્ટ અંજલી ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપ છોકરે પ્રવાસી શ્રમિકો માટે કલ્યાણકારી ઉપાયોને લાગુ કરવાની માંગ કરતાં એક અરજી દાખલ કરી હતી.
બેન્ચે કેન્દ્ર સરકારને ૩૧ જુલાઈ સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના રજિસ્ટ્રેશન માટે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રની મદદથી એક પોર્ટલ વિકસિત કરવાના નિર્દેશ આપ્યા.