નરેન્દ્ર મોદીને નીચ કહ્યા પછી વિવાદોમાં ઘેરાયેલા મણિશંકર ઐય્યરે શુક્રવારે તેમની પાર્ટી એટલે કે કોંગ્રેસને નુકસાન કરાવવા માટે માફી માગી છે. ઐય્યરે કહ્યું છે કે, જો મારા નિવેદનથી કોંગ્રેસને કોઈ પ્રકારનું નુકસાન થયું હોય તો હું તે માટે દુઃખી છું. કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નહતો. પાર્ટી મને જે પણ સજા આપે તે મને મંજૂર છે.
નોંધનીય છે કે, ગુરુવારે એક નિવેદન દરમિયાન ઐય્યરે મોદીને નીચ કક્ષાના માણસ કહ્યા હતા. ત્યારપછી મોદીએ સુરતની એક સભામાં કહ્યું હતું કે, ભલે તે નીચી કક્ષાના હોય પરંતુ તેમના સંસ્કાર ઉંચા છે.
મોદીએ શુક્રવારે બનાસકાંઠાની એક રેલી દરમિયાન ઐય્યર પર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, ઐય્યરે કાલે મારા વિશે શું કહ્યું હતું, તમને ખબર છે ને? હું ગાળની વાત નથી કરતો. કેમકે તે સાંભળવાની મને આદત છે. હું જે સમયે પીએમ બન્યો હતો ત્યારે આ ભાઈ પાકિસ્તાન ગયા હતા. ત્યાં પાકિસ્તાનના લોકો સાથે મીટિંગ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમની પાકિસ્તાનની યાત્રાનો આખો હિસાબ આવેલો છે. ત્યારે તેમણે ત્યાં પાકિસ્તાનના લોકો સાથે ચર્ચામાં કહ્યું હતું કે, જો તમે મોદીને રસ્તામાંથી નહીં દૂર કરો તો ભારત-પાકના સંબંધો સુધરી નહીં શકે. બોલો હવે મોદીને રસ્તામાંથી હટાવવા માટે પાકિસ્તાનની મદદ લેવી પડે છે?
હવે કોંગ્રેસે એવુ પણ જણાવવું જોઈએ કે તેમનું પાકિસ્તાન કનેક્શન શું છે. મને રસ્તામાંથી હટાવવાનો અર્થ શું છે? પાકિસ્તાન જઈને મને હટાવવાની વાત કેમ કરવી પડે છે?
મણિશંકર ઐય્યરે ગુરુવારેકહ્યું હતું કે, જે આંબેડકરજીની સૌથી મોટી ઈચ્છા હતી, તેને પુરૂ કરવા માટે એક વ્યક્તિનું સૌથી વધારે યોગદાન છે. તેમનું નામ જવાહરલાલ નહેરુ છે. હવે આ પરિવાર વિશે ગંદી વાત કરે અને તે પણ એ સમયે જ્યારે આંબેડકરજીની યાદમાં બહુ જ મોટી ઈમારતનું ઉદ્ધાટન કરવામાં આવી રહ્યું છે. મને લાગે છે તે આ માણસ બહુ નીચી કક્ષાનો છે. તેનામાં કોઈ સભ્યતા જ નથી. તે સમયે આવા ગંદા રાજકારણની શું જરૂર છે.
આ પહેલાં ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી પહેલા ઐય્યર મોદીના કોંગ્રેસ અધિવેશનમાં ચા વેચવાનું આમંત્રણ આપીને વિવાદોમાં આવી ગયા છે.ઐય્યરનું નિવેદન સામે આવ્યાને થોડી વાર પછી સુરતના લિંબાયતમાં નરેન્દ્ર મોદીની રેલી હતી. તેમણે કહ્યું- શ્રીમાન મણિશંકર ઐય્યરે જણાવ્યું કે, મોદી નીચ જાતીનો છે. શું આ જ ભારતની મહાન પરંપરા છે. આ ગુજરાતનું અપમાન છે. મને તો મોતનો સોદાગર પણ કહેવામાં આવ્યો છે. ગુજરાતની પ્રજા વડાપ્રધાનના અપમાનનો જવાબ આપશે. તેઓ આ પ્રકારની ભાષાનો ત્યારે જવાબ આપશે જ્યારે ચૂંટણી દરમિયાન કમળનું બટન દબાશે. મને ભલે નીચ જાતીનો કહ્યો, પરંતુ તમે લોકો તમારી ગરિમા ન છોડતા.