બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં અન્ય પક્ષ સાથે બસપાના ગઠબંધનના અહેવાલને પગલે વિફર્યા છે. આ અંગે તેમણે એક મહત્વની જાહેરાત કરીછે. માયાવતીએ જણાવ્યું કે બહજન સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડશે. રવિવારે સવારે એક ટ્વીટ કરીને માયાવતીએ લખ્યું કે, ગઈકાલથી એક ન્યુઝ ચેનલમાં એવું પ્રસારિત કરવામાં આવે છે કે ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીમાં બસપા અને ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ ગઠબંધન કરીને લડશે. તેમણે જણાવ્યું કે, આ અહેવાલ તદ્દન ભ્રામક અને તથ્યહીન છે. આમાં સહેજ પણ સત્ય નથી તેમજ બસપા તેનું ખંડન કરે છે.
માયાવતીએ આગળ લખ્યું કે, આ મામલે પાર્ટી દ્વારા વધુ એક વખત સ્પષ્ટતા કરવામાં આવે છે કે પંજાબને બાદ કરતા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણીમાં બસપા કોઈ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે અને એકલા જ લડશે.
બસપા સુપ્રીમોએ જણાવ્યું કે, બસપા સંલગ્ન ભ્રામક અહેવાલોને લઈને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ રાજ્યસભા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રને બસપા મીડિયા સેલના રાષ્ટ્રીય કો-ઓર્ડિનેટર નિયુક્ત કરવામાં આવ્યા છે. મીડિયાને પણ અપીલ કરવામાં આવે છે કે બહુજન સમાજ પાર્ટી કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંદર્ભે કોઈપણ પ્રકારના ભ્રામક અથવા ખોટા અહેવાલ લખવા, દર્શાવતા પૂર્વે એસ સી મિશ્ર પાસેથી તેની સાચી વિગતો મેળવી લેવી. આ સાથે જ માયાવતીએ વિધાનસભા ચૂંટણી અગાઉ સંગઠન મજબૂત કરવાની કવાયત પણ હાથ ધરી દીધી છે. મુખ્ય સેક્ટર પ્રભારીઓને મહિનાના અંત સુધી બૂથ સ્તરના સંગઠનને સક્રિય કરવા જણાવાયું છે. બસપા સુપ્રીમોના નિર્દેશને પગલે બૂથ સ્તર સુધી ગઠન મજબૂત કરવાની દિશામાં કામ શરૂ કરવામાં આવ્યું છે.