ભારતીય ટીમ આજે બુધવારે ઇંગ્લેંડ પ્રવાસે જઇ રહી છે. આ દરમ્યાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહંમદ અઝહરુદ્દીને, ૧૯૯૯માં વિશ્વકપને લઇને એક યાદને તાજી કરાવી છે. વિશ્વકપના યજમાન ઇંગ્લેંડ હતુ, ઘરઆંગણે જ ઇંગ્લેડને ટીમ ઇન્ડીયાએ જબરદસ્ત હાર આપી હતી. જેમાં સૌરવ ગાંગુલી મેચના મુખ્ય હિરો રહ્યા હતા. અઝહરે યાદને તાજી કરતી તસ્વીર ટ્વીટર પર શેર કરીને પૂછી લીધુ હતુ, આ મેચમાં મેન ઓફ ધ મેચ કોણ બન્યુ હતુ. સૌરવ ગાંગુલી હાલમાં બીસીસીઆઇ અધ્યક્ષ છે, તેઓ અધ્યક્ષ ના રુઆબ સાથે ઇંગ્લેંડનો પ્રવાસ આ મહિને ખેડી શકે છે. ભારતીય ટીમ પણ ઇંગ્લેંડમાં તેના જ ઘર આંગણે તેની સામે ૫ ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. પરંતુ ઇંગ્લેંડ સામેની ક્રિકેટની યાદો ક્યારેય ભૂલી શકાતી નથી હોતી. અઝહરે આવી જ એક યાદ તાજી કરાવી હતી. અઝહરે તસ્વીરને શેર કરતા લખ્યુ, વિશ્વકપ ૧૯૯૯માં અમે ૩૦ મે એ ઇંગ્લેંડ સામે ટક્કર વાળી મેચમાં જીત મેળવી હતી. અમે ખૂબ મુશ્કેલ સ્થિતીમાં મેચ રમ્યા હતા. મેચને આગળના દિવસે લઇ જવી પડી હતી. અમારા બોલરો એ છવાયેલા વાદળોને અમારા પક્ષમાં કરી લીધા હતા. શુ તમને મેન ઓફ ધ મેચ યાદ છે ? આ મેચ ૨૯ મે ૧૯૯૯ એ રમાઇ હતી જોકે વરસાદના અવરોધને લઇને મેચ ૩૦ મે એ રિઝર્વ દિવસે પુરી થઇ શકી હતી.
ભારતે પ્રથમ બેટીંગ કરતા ૮ વિકેટે ૨૩૨ રન કર્યા હતા. ગાંગુલીએ ૫૯ બોલમાં ૪૦ રન, રાહુલ દ્રાવિડએ અર્ધશતક લગાવ્યુ હતુ. જ્યારે અજય જાડેજાએ ૩૦ બોલમાં ૩૯ રન કર્યા હતા. તો કેપ્ટન અઝહરે ૨૬ રન કર્યા હતા. ત્યાર બાદ બોલીંગમાં ગાંગુલી દમ દેખાડ્યો હતો. નાસિલ હુસેન, નીલ ફેયરબ્રધર અને માર્ક અલ્હમ ને આઉટ કરીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ૮ ઓવરના સ્પેલમાં ૨૭ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જેને લઇને ભારતે મોટી જીત હાંસલ કરી હતી.
પ્રથમ દિવસે ઇંગ્લેંડ ની બેટીંગ ઇનીંગ દરમ્યાન ૨૦.૩ ઓવર બાદ વરસાદ વરસ્યો હતો. મેચ રોકાઇ ગઇ હતી. જેને લઇને અધૂરી મેચ આગળના દિવસે એટલે કે રિઝર્વ ડે પર રમાઇ હતી. આ પહેલા દેબાશીષ મોહંતીએ બે બોલમાં બે સળંગ વિકેટ ઝડપી હતી. મેચમાં જ્વાગલ શ્રીનાથ અને અનિલ કુંબલેએ પણ બે-બે વિકેટ ઝડપી હતી.
ભારત વિશ્વકપ ૧૯૯૯માં સુપર સિક્સમાંથી બહાર થઇ ગયુ હતુ. જોકે તે દરમ્યાન ભારતે પાકિસ્તાન સામે જીત મેળવી હતી. કેન્યા અને શ્રીલંકાને પણ જબરદસ્ત હરાવ્યુ હતુ. જોકે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને ન્યુઝીલેન્ડ સામેની હારે સુપર સિક્સમાં પહોંચવાના રસ્તાને અવરોધી દીધા હતા.