નર્મદા જિલ્લામાં રાસાયણિક ખાતરની કોઇ તંગીના સર્જાય અને ખાતરની વિતરણ વ્યવસ્થા વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવા અને ખાતરની માંગ અને પુરવઠાની સમીક્ષા હેતુસર રાજપીપલા જિલ્લા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે જિલ્લા ખાતર સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
મદદનીશ ખેતી નિયામકશ્રી રિંકેશભાઇ ભટ્ટ તેમજ GNFC, GSCF, ગુજરાત એગ્રો, ક્રૃભકો, આઇપીએલ, ઇફ્કો વગરે જેવી ખાતર વિક્રેતાઓના અધિકારીશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ચર્ચા-વિચારણા થયા મુજબ અને વિક્રેતાઓ તરફથી અપાયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં હાલમાં રાસાયણિક ખાતરની કોઇપણ પ્રકારની અછત નથી તેમજ હાલમં યુરીયા ખાતરની વધુ જરૂરિયાત હોવાથી નર્મદા જિલ્લામાં ૩૪,૮૨૦ થેલી ૧૭૪૧ મેટ્રીક ટન જથ્થો જુદાજુદા વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ હોય ખેડૂત ભાઇઓને ચિંતા કરવાની કોઇ જરૂરિયાત નથી. જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાએ જિલ્લામાં યુરીયા ખાતરનો જથ્થો પુરતા પ્રમાણમાં હોવાથી ખેડૂત ભાઇઓને ખાતર સમયસર મળી રહે તેવુ સુચારૂં આયોજન અને વ્યવસ્થા ગોઠવવા ઉપસ્થિત વિક્રેતાઓને ખાસ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ચર્ચા થયા મુજબ દરેક કંપનીએ યુરીયા બેગમાં નાઇટ્રોજનનું પ્રમાણ એકસરખુ હોય છે જેથી ખેડૂતોએ કોઇ એક જ કંપનીના યુરીયાનો કોઇ આગ્રહ ન રાખતા તમામ કંપની પૈકી દરેક કંપનીનું યુરીયા ખરીદવા જણાવાયું હતું.