રાજ્ય સરકારના હરિયાળુ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત આજે રાજપીપલામા ધાબા ગ્રાઉન્ડ ખાતે “હરિયાળુ ગુજરાત” અંતર્ગત રાજપીપલા નગરપાલિકા વિસ્તારના યોજાયેલા વન મહોત્સવ કાર્યક્રમને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો. રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી અલ્કેશસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નાંદોદ પ્રાંત અધિકારીશ્રી ધવલ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. રાજપીપલા નગરપાલિકા વિસ્તારને હરિયાળુ બનાવવાના અભિયાનના ભાગરૂપે ચાલુ વર્ષે ૧૦ હજાર રોપાઓ વાવી ઉછેર કરવાની કામગીરીનો લક્ષ્યાંક સિધ્ધ કરવામાં આવનાર છે.
રાજપીપલા ધાબા ગ્રાઉન્ડ ખાતેના પટાંગણમાં નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નગરપાલિકા પ્રમુખશ્રી અલ્કેશસિંહ ગોહિલ, પ્રાંત અધિકારીશ્રી ધવલ પંડ્યા સહિતના અધિકારીશ્રીઓ-નગરપાલિકાના પદાધિકારીશ્રીઓએ વૃક્ષારોપણ કરવાની સાથોસા નગરજનોને રોપાઓનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી ભાવેશભાઇ વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. નીપાબેન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વેકરીયા, નાંદોદ મામલતદારશ્રી રાણા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ-નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.