રાજ્યમાં યોજાનાર નર્મદા રથને રાજકીય પક્ષ-પાર્ટીની યાત્રા-ઉત્સવ નહીં પણ સૌ ગુજરાતીઓની શ્રદ્ધા-આસ્થા-રાજ્યની અસ્મિતા ઊજાગર કરતો જનઉમંગ ઉત્સવ હોવાનું મહાત્મા મંદિરમાં એનજીઓ સાથેના સેમિનારમાં બોલતાં મુખ્યપ્રધાન રુપાણીએ જણાવ્યું હતું. આગામી ર૭ જુલાઇથી યોજાનારા રાજ્યવ્યાપી મા નર્મદા મહોત્સવ અને નર્મદા રથયાત્રામાં સ્વૈચ્છિક સેવા સંગઠનોની સહભાગીતા પ્રેરિત કરવાના આયોજનને ઓપ આપવા યોજાયેલા પરિસંવાદમાં સંબોધન કરી રહ્યા હતા.આ યાત્રાના સમાપન અને નર્મદા ડેમ પૂર્ણતાના લોકાર્પણ ઉત્સવમાં રાજ્યના તમામ પૂર્વ મુખ્યપ્રધાન, વિવિધ ક્ષેત્રે પ્રતિષ્ઠાપ્રાપ્ત મહાનુભાવો, ધર્મ સંપ્રદાયના વડાઓ, આચાર્યો, પ્રતિભાવંત ગુજરાતીઓને આમંત્રીને આ ઉત્સવને અવિસ્મરણીય વિરાટ જનઉત્સવ બનાવવામાં આવશે.આ ઉજવણી રાજ્યભરમાં ચાર તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં યુવાનો-વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે કવિતા લેખન, નિબંધ લેખન શોર્ટ મોબાઇલ ફિલ્મ, સાફલ્યગાથા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે. બીજા તબક્કામાં ૨૭ જુલાઇ થી ૫ ઓગસ્ટ દરમિયાન ૮૫ રથ સાથેની નર્મદા રથયાત્રા નર્મદા યોજના લાભાન્વિત ગામોમાં પહોંચશે.
૮મી ઓગસ્ટે તાલુકા કક્ષાએ સાયકલ રેલી તેમજ ૯ ઓગસ્ટે તાલુકા-જિલ્લા વચ્ચે મોટર સાયકલ રેલી યોજાશે. અને આ યાત્રા રથો નર્મદા ડેમ જવા રવાના થશે.
ત્રીજા તબક્કામાં નર્મદા આધારિત પસંદગીના સ્થળો ઉપર લાઇટીંગ-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.જ્યારે ચોથા તબક્કાના કાર્યક્રમમાં તા.૧૨ ઓગષ્ટના રોજ નર્મદા ડેમ સ્થળે કેવડિયા કોલોની અને ડભોઇ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો યોજાશે.