સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધીના કારણે દેશના આશરે ૬૦ લાખ લોકો પર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે. તેમના પર ભુખમરાની સ્થિતી સર્જાઇ છે. આ નિર્ણય બાદ આશરે ૧૫ લાખ લોકોને નોકરી ગુમાવી દેવાની ફરજ પડી છે. સર્વેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો એક કમાણી કરનાર વ્યક્તિ પર ઘરના ચાર લોકો આધારિત છે તો કેન્દ્રના આ નિર્ણયના કારણે ૬૦ લાખ લોકોના મોથી રોટલી જતી રહી છે. સીએમઆઇઇના સર્વેમાં ત્રિમાસિક રીતે નોકરીના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. સર્વેનુ નામ કન્ઝ્યુમર પિરામિડ હાઉસહોલ્ડ સર્વે રાખવામાં આવ્યુ છે, તેમના કહેવા મુજબ નોટબંધી બાદ જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૧૭ સુધી દેશમાં કુલ નોકરીની સંખ્યા ઘટીને ૪૦ કરોડ ૫૦ લાખ થઇ ગઇ છે જે સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૨૦૧૬ વચ્ચે ૪૦ કરોડ ૬૫ લાખ હતી. આનો મતલબ એ થયો કે નોટબંધી બાદ નોકરીની સંખ્યામાં આશરે ૧૫ લાખનો ઘટાડો થયો છે. દેશભરમાં થયેલા હાઉસહોલ્ડ સર્વેમાં કેટલીક મહત્વપૂર્ણ બાબત સપાટી પર આવી છે. સર્વેમાં જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૧૬ વચ્ચે યુવાનોના રોજગાર અને બેરોજગાર સાથે જોડાયેલા આંકડા એકત્રિત કરવામાં આવ્યા છે.
આ સર્વેના ભાગરૂપે એક લાખ ૬૧ હજાર ઘરના પાંચ લાખ ૧૯ હજાર યુવાનો સાથે વાત કરવામાં આવી હતી. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે પહેલા ૪૦ કરોડ ૬૫ લાખ લોકોની પાસે કોઇ કામ ન હતુ. પરંતુ નોટબંધીના ચાર મહિના બાદ ૪૦ કરોડ ૫૦ લાખ લોકોની પાસે કોઇ કામ નથી. ૧૫ લાખ લોકોએ રોજગારી ગુમાવી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરપ્પા મોઇલીના નેતૃત્વમાં સ્થાયી સમિતિ સંસદના વર્તમાન મોનસુન સત્રમાં પોતાનો રિપોર્ટ રજૂ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. સમિતિ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલના નિવેદનની નોંધણી કરી ચુકી છે. આઈટી ક્ષેત્રમાં કર્મચારીઓની છટણી ઉપર બુધવારના દિવસે રાજ્યસભામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વિપક્ષના અનેક સભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ શ્રમ પ્રધાન બંદારુ દત્તાત્રેયે કહ્યું હતું કે, સરકાર આઈટી ક્ષેત્રના કર્મચારીઓને સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવશે. હજુ સુધી એક કરોડ ત્રણ લાખ નવા કર્મચારીઓની ઇપીએફઓની હદમાં લાવવામાં આવ્યા છે. વધુને વધુ કર્મચારીઓને આ હદમાં લાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, નોટબંધી બાદ દેશમાં જટિલ સમસ્યા સર્જાઈ હતી પરંતુ હવે સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે.
પાછલી પોસ્ટ