મહારાષ્ટ્રમાં છેલ્લા એક પખવાડિયામાં અસહ્ય ગરમીને કારણે સાત લોકોનાં મોત તથા ઉષ્માઘાત (હીટ સ્ટોક)ના ૫૯ કેસ નોંધાયાનું રાજ્યના આરોગ્ય ખાતાએ જણાવ્યું છે. વિદર્ભ તથા મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળ્યું હોવા સાથે અનેક જિલ્લામાં તાપમાન સર્વસામાન્ય અલ્પતમ તથા મહત્તમ મર્યાદાને પણ વટાવી ગયું છે.
રાજ્યમાં સૌથી વધુ ૪૪ અંશ સેલ્સિયર તાપમાન અકોલામાં નોંધાઇ ચૂક્યું છે. નોંધપાત્ર હકીકત એ છે કે રાજ્યમાં ૨૦૨૦-૨૧માં ગરમીને કારણે એક પણ વ્યક્તિનું મોત થયાનું નોંધાયું ન હતું. આનું આંશિક કારણ કોવિડને કારણે ઠેર ઠેર લોકડાઉન લદાયાં તે હોઇ શકે. આ અગાઉ ૨૦૧૬થી ૨૦૧૯ સુધીનાં ત્રણ વર્ષ દરમિયાન અસહ્ય અગનવર્ષામાં ૪૩ જણાનાં મોત નોંધાયા હતા.
વર્ષવાર આંકડા જોઇએ તો ગરમીએ ૨૦૧૬માં ૧૯, ૨૦૧૭માં ૧૩, ૨૦૧૮માં બે તથા ૨૦૧૯માં નવ લોકોનો ભોગ લીધો હતો.
આ ઉનાળામાં થયેલાં સાત મોત પૈકી જલગાંવમાં ત્રણ, નાગપુરમાં બે તથા અકોલા અને ઉષ્માનાબાદ પૈકી પ્રત્યેકમાં એક એક મોત નોંધાયાં હતા અમે રાજ્યના સર્વેલન્સ ઓફિસર ડો. પ્રદીપ અવટેએ જણાવ્યું હતું. અને ઉમેર્યું હતું કે આ વર્ષે ઉષ્માઘાતના સૌથી વધુ ૨૨ કેસ નાગપુરમાં તથા તે પછીના ક્રમે ગોંદિયા (૧૧ કેસ), જલગાંવ (નવ), યવતમાળ (આઠ), અકોલા (ચાર), સાતારા (બે) તથા ઉષ્માનાબાદ, સોલાપુર અને ચંન્દ્રપુર પૈકી પ્રત્યેકમાં એકએક કેસ નોંધાયા છે.
પ્રત્યેક જિલ્લાએ હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવો તથા ઉષ્માઘાતથી થયેલાં મોતની તપાસ માટેની સમિતિ રચવી જરૂરી છે એમ તેમણે કહ્યું હતું.