રાજ્યમાં કોરોનાના કેસો એકતરફ વધી રહ્યા છે સાથે લોકોને વેક્સિન આપવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. કોરોનાથી બચવા માટે વેક્સિનેશન આપવામાં આવી રહી છે જો કે અમદાવાદમાં ૫૮ વર્ષના વ્યક્તિએ કોરોનાની રસી લીધાંના ૧૨ કલાકમાં જ તેમનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું, તેઓએ કોરોનાની રસી લીધા બાદ રાતે ઘરે સુતા હતા અને અચાનક જ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને થોડી જ મિનિટોમાં તેમનું મોત નીપજ્યું હતું.
અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા અભિષેક ગેડિયાએ જણાવ્યું, તેઓ અમદાવાદમાં સરકારી નોકરી હોવાથી છેલ્લા બે વર્ષથી અહીંયા રહે છે અને તેમના માતા-પિતા સુરત ખાતે રહે છે. પિતા મનસુખભાઇ ગેડિયાને દોઢ વર્ષ પહેલાં અમદાવાદમાં જ બાયપાસ સર્જરી કરાવી હતી. અવારનવાર અમદાવાદ ખાતે ડોક્ટરને બતાવવા આવવું પડતું હોવાથી તેઓ ત્રણ મહિના પહેલા જ અમદાવાદ સાથે રહેવા આવી ગયા હતા. રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધ્યા હતા અને લોકોને રસી આપવામાં આવી રહી હોવાથી તેમના માતા-પિતાએ પણ રસી લેવાનું નક્કી કર્યું હતું.
૨ એપ્રિલના રોજ માતા-પિતા બંને રસી લેવા માટે ઠક્કરબાપાનગર પાસે આવેલા વિરાટનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ગયા હતા. પિતાએ બાયપાસ સર્જરી કરાવી હોવાથી તેઓ તેમના રિપોર્ટ વગેરે સાથે લઈને ગયા હતા. જ્યાં હાજર ડોકટરને રસી લેતાં પહેલા આ રિપોર્ટ બતાવ્યા હતા. હાજર ડોકટરે તેમને રસી લેવામાં કોઈ વાંધો ન હોવાનું કહ્યું હતું. જેથી બંનેએ રસી લીધી હતી. રસી લીધાં બાદ તેમના પિતા નોકરી પર ગયા હતા અને માતા ઘરે આવ્યા હતા. સાંજે પિતા નોકરી પરથી આવ્યા ત્યારે તેમને અશક્તિ અને તાવ જેવું આવ્યું હતું. માતાને પણ તાવ આવી ગયો હતો. મોડી રાતે ૧૨ વાગ્યાની આસપાસ મનસુખભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેમના પત્નીએ પણ પૂછ્યું હતું તો થોડી તકલીફ હોવાનું કહ્યું હતું. માત્ર બે મિનિટમાં જ તેઓનું મોત થયું હતું.
પરિવારના સભ્યોનું કહેવું છે, મનસુખભાઈને કોઈ જ બીમારી ન હતી તેઓને દોઢ વર્ષ પહેલાં બાયપાસ જ કરાવ્યું હતું. કોરોનાની રસી લેતા પહેલા ડોકટરને પુછીને જ રસી લીધી હતી પરંતુ ડોક્ટરના મિસ ગાઈડન્સના કારણે તેઓએ રસી લીધી અને માત્ર ૧૨ કલાક જ તેમનું મોત થયું હોવાનું તેમને લાગી રહ્યું છે. ઘરમાં રસી લીધા બાદ પિતાનું અવસાન થતાં હવે અભિષેકભાઈ અને તેમના પત્નીએ કોરોનાની રસી ન લેવાનું નક્કી કર્યું છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ