Aapnu Gujarat
ગુજરાત

પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસ પાર્ટી પ્રેરિત આંદોલન

ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે પાટીદાર અનામત આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આજથી ૩ વર્ષ પહેલાં જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે સરકારે અને ભાજપાએ આ આંદોલનમાં કોંગ્રેસનો હાથ હોવાની શંકા સેવેલી તે સાચી પડી છે. આ સંદર્ભમાં તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું કે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને કોંગ્રેસ પાછળથી ટેકો આપે છે. એટલું જ નહિ, હાર્દિકને મળવા જનારા પણ એ જ કોંગ્રેસીઓ છે જે ગુજરાત વિરોધીઓ અને નરેન્દ્ર મોદી વિરોધીઓ છે. તેમણે આ સમગ્ર આંદોલન રાજકીય પ્રેરિત છે તેવી સ્પષ્ટ ટિપ્પણી કરતાં વિપક્ષ કોંગ્રેસને વેધક સવાલ કર્યો કે, જ્યારે સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટ પ૦ ટકાથી વધુ અનામત આપી ન શકાય તેવા ચૂકાદાઓ આપ્યા છે ત્યારે કોંગ્રેસ એ વિશે શું કહે છે? ઊર્જા મંત્રીએ કોંગ્રેસને આડે હાથ લેતાં જણાવ્યું કે આ કોંગ્રેસ પાટીદાર અનામત આંદોલન મૂદે બેવડી નીતિ-રીતિ અપનાવે છે. થોડા દિવસ પહેલાં કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યોએ મહામહિમ રાજ્યપાલને મળીને ૮ પાનાનું આવેદનપત્ર આપ્યું તેમાં અનામત વિશે એક શબ્દનો પણ ઉલ્લેખ કર્યો નથી. સૌરભ પટેલે ઉપવાસ આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ પર હોવાથી સ્વાભાવિક રીતે એમની તબિયતમાં બદલાવ આવે જ તેવી લાગણી વ્યકત કરતાં તેમને એવી વિનંતી કરી કે હાર્દિક તબીબી તપાસ અને તબીબી રીપોર્ટ માટે સહકાર આપે તેવું સરકાર ઇચ્છે છે. તેમણે કહ્યું કે, કમનસીબે હાર્દિક પટેલ તબીબી ટીમને તપાસમાં સહકાર આપતા નથી. આમ છતાં રાજય સરકારે તેમના આરોગ્યની ચિંતા કરીને બધી જ વ્યવસ્થાઓ કરી છે. તેમના ઉપવાસ સ્થળે ર૪ કલાક આઈસીયુ ઓન વ્હીલ્સ, તબીબોની ટીમ સહિત તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહિ, જ્યાં પણ મદદની જરૂર પડે ત્યાં સરકાર મદદ કરશે. હાર્દિક પટેલ એમાં સહકાર આપે તેવી અપિલ તેમણે કરી હતી. ઊર્જા રાજ્યમંત્રીએ રાજ્ય સરકારનો ખેડૂતો અને બિન અનામત વર્ગો માટેનો રવૈયો સ્પષ્ટ કરતાં ઉમેર્યુ કે, રાજ્ય સરકારે દેશમાં ર૯ રાજ્યોમાં પ્રથમ પહેલ કરીને બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વર્ગો માટે આયોગ અને નિગમની રચના કરી છે. બિન અનામત વર્ગોના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ તેમજ સ્વરોજગાર માટે કરોડો રૂપિયાની લોન-સહાયની જોગવાઇઓ કરી છે. એટલું જ નહિ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે પણ ૯૦૭ કરોડની ફાળવણી આ સરકારે કરીને યુવાઓને ઉચ્ચ અભ્યાસ, કારકીર્દી ઘડતર સ્વરોજગારની તકો આપી છે. ઊર્જા મંત્રીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની આ સરકાર ખેડૂતો પ્રત્યે સંપૂર્ણ સંવેદના સાથે તેમની પડખે ઊભી રહેનારી સરકાર છે તેમ જણાવતાં કહ્યું કે, રાજ્યના ઘરતીપુત્રોને તેમની આવક બમણી થાય અને કૃષિ ખર્ચ ઓછો થાય તે માટે અનેકવિધ પગલાંઓ સરકાર લઇ રહી છે. સૌરભએ જણાવ્યું કે, ખેતીમાં સિંચાઇના પાણી માટે નર્મદા કેનાલ નેટવર્ક, સુજલામ-સુફલામ જળ અભિયાન, સૌની યોજના, ડ્રીપ ઇરીગેશન જેવી સુવિધાઓ ખેતરે-ખેતરે પહોચાડી છે. રાજ્ય સરકારે ખેડૂતોની પેદાશોના પૂરતા ભાવ તેમને મળી રહે તે માટે ટેકાના ભાવ કરતાં વધુ બોનસ આપીને મગફળી, કપાસ, તૂવેર, ચણાની ખરીદી કરી છે તેની વિગતો તેમણે આપી હતી. મગફળી ખરીદીના ૩૭૦૦ કરોડ ખેડૂતોના ખાતામાં સીધીરીતે જમા થયા છે. ખેતી અને ખેડૂત વધુ સમૃદ્ધ બને તે માટે ૪૫૦૦ કરોડ વિજળી, ૫૦૦૦ કરોડ નર્મદાના પાણી માટે સરકારે ખર્ચ કર્યા છે. ઉર્જામંત્રીએ આંદોલન દરમિયાન શાંતિ જાળવી રાખી, સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પાટીદાર અનામત આંદોલનના વિવિધ તબક્કે સરકારે પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક યોજીને સુપ્રીમ અને વડી અદાલતના અનામત અંગેના ચુકાદાથી માહિતગાર કર્યા હતા. આગેવાનો એમાં સહમત થયા હતા. આજે પણ પાટીદારો સરકાર પાસે આવે તો અમારા દરવાજા ખુલ્લા છે. કોર્ટના ચુકાદા અને બંધારણની નીતિઓ તેમના ધ્યાને મુકીશું. તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ સમજે છે અને જાણે છે કે, આંદોલન પાછળ કોનો હાથ છે. આવનાર દિવસોમાં કોંગ્રેસ ગુજરાતમાં શાંતિ, સલામતી કેમ જોખમાઈ તેવા પ્રયાસ તોફાન દ્વારા કરશે પરંતુ પાટીદાર સમાજ જાગૃત છે. ગુજરાતની સરકાર તમામ લોકોની વાતો અને રજૂઆત સાંભળવા તૈયાર છે. નિયમ અને બંધારણ મુજબ કામ કરાશે.

Related posts

अहमदाबाद शहर में धीमी बारिश जारी : कई वृक्ष गिरे

aapnugujarat

અમદાવાદમાં હવે હીટવેવની દહેશત

editor

गुजरात में स्वाइन फ्लू के नये करीब १५२ केस सामने आए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1