ભાવનગરમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે દિશામાં છ માસથી સમગ્ર વહીવટી તંત્રએ પણ કોરોના મહામારીને નાથવા દિન-રાત કામગીરી શરૂ કરી છે. આ રોગચાળો વધતો અટકાવવા માટે માસ્ક પહેરવું, સેનીટાઇઝરનો ઉપયોગ કરવો તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું એ ત્રણ બાબતો હાલના સમયે ખુબ જ જરૂરી છે. સાથો સાથ કોરોનાનું તાત્કાલિક નિદાન થાય તે માટે કોરોના ટેસ્ટીંગ એટલું જ જરૂરી છે જેના થકી કોરોના સંક્રમિત વ્યકિત તાત્કાલિક આઇસોલેટ થઇ શકે અને તેના નજીકના કુટુંબીજનો, સગાસંબંધી કે મિત્રોને કોરોનાથી સંક્રમિત થતા અટકાવી શકાય. આ માટે જીલ્લા પંચાયત કચેરીની આરોગ્ય શાખા દ્વારા સમગ્ર ભાવનગર જિલ્લામાં ધનિષ્ટ સેમ્પલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા એપ્રિલ માસથી આજ દિન સુધીમાં કોરોનાના કુલ-૧,૯૪,૩૬૩ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી આર.ટી.પી.સી.આર. ૩૧,૩૧૦ સેમ્પલ તથા રેપિડ એન્ટીજનના ૧,૬૩,૦૫૩ સેમ્પલ લેવામાં આવેલ છે. વધુમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા તથા જીલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ ગત મહિનાથી જિલ્લાની મામલતદાર કચેરીઓના એ.ટી.વી.ટી. સેન્ટરો તથા જાહેર સ્થળોએ ઉભા કરાયેલ ૨૧ જેટલા સ્વૈચ્છિક કોરોના ટેસ્ટીંગ સેન્ટરો ખાતે રેપિડ એન્ટીજન ટેસ્ટની કામગીરી કરવામાં આવી છે તેમજ ભાવનગર મનપા દ્વારા કમિશ્નર એમ.એ.ગાંધીના માર્ગદર્શન હેઠળ ૬૦ વર્ષથી ઉપરના વડીલો, ૧૦ વર્ષથી નીચેના બાળકો, મહિલાઓ તેમજ દિવ્યાંગજનો માટે ટેસ્ટ ઓન કોલ જેવી રાજ્યની એકમાત્ર અને આગવી પહેલ શરૂ કરાઇ છે જેના થકી ભાવનગર જિલ્લામાં કોરોનાને કાબુમાં લેવામાં મહદઅંશે સફળતા મળી છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૪,૫૯૯ કેસો પૈકી માત્ર ૧૧૯ દર્દીઓ જ હાલ સારવાર હેઠળ છે અને ભાવનગર જિલ્લાનો રીકવરી રેટ પણ અંદાજે ૯૫.૭૮ ટકા સાથે સમગ્ર રાજ્યમાં ટોચ પર છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા તેમજ કોરોનાને સદંતર નાબુદ કરવા લોકો વધુમાં વધુ ટેસ્ટ કરાવે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)
પાછલી પોસ્ટ