પીએમ મોદી અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને તેના પર પણ રાજકારણ શરુ થઈ ગયુ છે.અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીની હાજરી આપવાના નિર્ણયનો વિરોધ કરીને કહ્યુ છે કે, પીએમ મોદી શિલાન્યાસમાં હાજરી આપશે તો તે બંધારણનો અનાદર હશે.કારણકે ધર્મનિરપેક્ષતા ભારતના બંધારણનુ અભિન્ન અંગ છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ૫ ઓગસ્ટે અયોધ્યામાં શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે.તેમના હસ્તે મંદિરની આધારશીલા મુકાશે અને મંદિરના નિર્માણનુ કામ શરુ થશે.
ઓવૈસીએ તેના પર પ્રત્યાઘાત આપતા વધુમાં કહ્યુ હતુ કે, અમે એ નહી ભુલી શકીએ કે ૪૦૦ વર્ષથી વધારે સમય માટે આ સ્થળે બાબરી મસ્જિદ હતી અને ૧૯૯૨માં ટોળાએ તેને ધ્વસ્ત કરી નાંખી હતી.
જોકે વિરોધ પક્ષો ભલે હંગામો કરી રહ્યા હોય પણ પીએમ મોદીના કાર્યક્રમને આખરી ઓપ આપી ચુક્યો છે.પીએમ મોદી પાંચ ઓગસ્ટે સવારે સાડા અગિયાર વાગ્યે અયોધ્યા પહોંચશે અને લોકોને સંબોધિત કરશે.આ કાર્યક્રમમાં ૨૦૦ લોકો ભાગ લેવાના છે.