સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલ વડીયાવીર ખાતે શ્રી બિલેશ્વર ધામમાં શ્રીમદ ભાગવત કથા આયોજનના ભાગરૂપે આજરોજ મહંત શ્રી શાંતિ ગિરિજી મહારાજની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. શ્રીમદ ભાગવત કથા ૧૦ થી ૧૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. શ્રી બિલેશ્વર ધામ વડીયાવીર તેના ધર્મ, સંસ્કૃતિ અને સેવાના આગવા અભિગમથી લોકચાહના ઉચ્ચ સ્થાને બિરાજે છે. બિલેશ્વર ધામ પરિસરમાં ૪૭૧ વર્ષ પુરાતન શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર, નવનિર્મિત શ્રી અંબિકા માતા મંદિર અને સદા રક્ષા કરતા શ્રી વીરબાવજી મંદિરની દિવ્ય ચેતના તેના ભક્તોનું જીવન કલ્યાણ કરે છે.
શ્રી બુદ્ધ ગીરીજી મહારાજ જેવા અલગારી સંતોની આ તપોસ્થલી છે. શ્રી બિલેશ્વર ધામના વિવિધ કાર્યક્રમોમાં ભારતભરમાંથી પધારેલા સંત-મહંત અને શાસ્ત્રજ્ઞ વિભૂતિઓની પદરજ આ સ્થળને વધુ પાવન બનાવશે. અહીં યોજાનારા કાર્યક્રમો વડીયાવીર અને નિકટવર્તી ગામોના જનસમુદાયની ધર્મ, સંસ્કૃતિ અને સેવા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સહકારથી સ્વયંભૂ કાર્યક્રમો બનતા રહેશે તેવું શ્રી બિલેશ્વર ધામના મહંત શ્રી શાંતિ ગીરીજી મહારાજે જણાવ્યું છે.
આવા અજોડ બિલેશ્વર ધામમાં ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦ થી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ ના સપ્તાહમાં પોરબંદર નિવાસી
રમેશ ઓઝાના મુખે શ્રીમદ ભાગવત કથા યોજાશે તથા શ્રી અંબિકા માતા મંદિર ૮ માં પાટોત્સવ સમયે કનલખ-હરિદ્વારથી જુના પીઠાધીશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજનો ગીતા પ્રવચન તથા સંત દર્શન કાર્યક્રમ યોજવામાં આવશે તથા રાત્રિના સમયે પ્રખ્યાત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ડાયરાનું આયોજન પણ કરવામાં આવશે
શ્રીમદ ભાગવત કથામાં વિશેષ ઉપસ્થિતિ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે તથા ભારત સરકાર મંત્રીઓ અને ગુજરાત સરકારનાં મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના મુખ્ય યજમાન રીતુ સબીરભાઈ જાની છે. જાની પરિવાર ( શિવ પરિવાર ) ઝિઝંવા,તા.ઈડર ( હાલ મુંબઈ ) જેઓ સપ્તાહિક શ્રીમદ ભાગવત કથામાં મુખ્ય યજમાન તરીકે સેવા આપશે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)